બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ ગુજરાતમાં, વારાહીની ભીડભંજન હનુમાનજી ગૌશાળામાં ₹11 લાખનું દાન આપ્યું
બોલિવૂડના અભિનેતા સોનુ સૂદે વારાહી ખાતે પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી

Published : January 11, 2026 at 8:04 PM IST
પાટણ: બોલિવૂડના અભિનેતા સોનુ સૂદે વારાહી ખાતે પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર ગણાતી આ સંસ્થાની પ્રવૃતિઓથી પ્રભાવિત થઇ સોનુ સૂદે ગૌશાળાના વિકાસ અને ઘાસચારાની વ્યવસ્થા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું.
સોનુ સૂદ વારાહી ગૌશાળાની મુલાકાતે
સોનુ સૂદની આ મુલાકાતને પગલે વિસ્તારમાં ગૌપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અભિનેતાએ ગૌશાળાની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી ગૌસેવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. હાલ આ ગૌશાળામાં અંદાજે 7000 જેટલી ગૌમાતાનું પાલન-પોષણ અને સંભાળ કરવામાં આવી રહ્યું છે. મુલાકાત દરમિયાન સોનુ સૂદે ગૌમાતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ગૌશાળાના વ્યવસ્થાપકો સાથે ગૌસેવાના વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. વિશાળ ગૌશાળા સંકુલમાં ગૌવંશ માટે કરવામાં આવેલી સુવ્યવસ્થિત કામગીરીને જોઈ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
"ભીડભંજન હનુમાનજીની પાવન ધરતી પર આવીને સારૂ લાગી રહ્યુ છે. જ્યારે આ સફર જોવું છે કે 7 ગૌમાતાથી શરૂ થઇને 7000 સુધી પહોંચ્યું છે, આ ગર્વની વાત છે. હું તેમના જેટલું તો કામ નથી કરી શકતો પણ મારી તરફથી અને મારા ફાઉન્ડેશન તરફથી 11 લાખનું એક યોગદાન આપી રહ્યો છું જેને કારણે આ કામ આગળ પણ ચાલતું રહે." સોનુ સૂદ, બોલિવૂડ અભિનેતા
આ પ્રસંગે સોનુ સૂદ દ્વારા ગૌશાળાના હિતાર્થે ₹11 લાખના દાનની જાહેરાત કરવામાં આવતા ગૌસેવાના કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગૌશાળાના ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:

