વડવાળા દેવના પ્રાગટ્ય દિવસની થશે ઉજવણી; ગૌશાળાના ઉદ્ઘાટન સાથે માલધારી-રબારી સમાજના 3 લાખ લોકો મહાપ્રસાદ લેશે
આ કાર્યક્રમમાં ૫.પુ જગદગુરુ શંકરાચાર્યશ્રી દ્વારકા, ૫.પુ રામાનંદાચાર્યશ્રી, ૫.પુ મોરારીબાપુ તેમજ ભારતભરના 250 થી વધુ પ.પુ મહામંડલેશ્વરો તેમજ સામાજીક તથા રાજકીય મહાનુભાવો પધારશે.

Published : February 28, 2026 at 11:44 AM IST
|Updated : February 28, 2026 at 12:15 PM IST
સુરેન્દ્રનગર: સમગ્ર વિશ્વમાં માલધારી અને રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે સુરેન્દ્રનગરના દુધરેજ નજીક આવેલ વડવાળા દેવનું મંદિર. 800 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે. ફાગણ સુદ પૂનમના દિવસે વડને રોપવામાં આવ્યો ત્યારબાદ માલધારી સમાજની દિકરીઓએ ગાયનું દૂધ પાઈ અને વડને ઉછેરવામાં આવ્યો હતો. દૂધનો અભિષેક કરી વડને ઉછેરવામાં આવ્યો એટલે ગામનું નામ પણ દુધરેજ પડ્યું.
દર વર્ષે હોળીના દિવસે વડવાળા મંદિરનો પ્રાગટય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ પ્રાગટ્ય દિવસ "હોળી મહોત્સવ 2026" તેમજ ૫.પુ કનીરામદાસજી બાપુની અતિપ્રિય એવી ગૌલોક શ્રી શીતલ ગાયના સ્મર્ણાર્થે નુતન ગૌશાળા "શ્રી શીતલ ગૌશાળા" નું ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારોહ તા. 2 માર્ચ 2026 સોમવારના દિવસે રાખવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ૫.પુ જગદગુરુ શંકરાચાર્યશ્રી દ્વારકા, ૫.પુ રામાનંદાચાર્યશ્રી, ૫.પુ મોરારીબાપુ તેમજ ભારતભરના 250 થી વધુ પ.પુ મહામંડલેશ્વરો, પ.પુ સંતો - મહંતો તેમજ સામાજીક તથા રાજકીય મહાનુભાવો પધારશે.
ઉત્સવમાં કુલ 2 થી 3 લાખ સમગ્ર ભારતભરમાંથી રબારી સમાજ તથા અન્ય સમાજ તેમજ આજુબાજુના ગામના લોકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે, જેમાં મહાપ્રસાદમાં કુલ 50,000 લીટર દુધ તેમજ મહાપ્રસાદમાં કુલ 24,000 કિલો મોહનથાળ, 15,000 કિલો ટોપરાપાક, 6000 કિલો ગાંઠીયા, 5000 કિલો ખમણ, 500 ડબ્બા શુદ્ધ ઘી, 1200 ડબ્બા તેલ, 12,000 કિલો ખાંડ, 22,000 કિલો ચોખા, 8000 કિલો તુવેર દાળ 30,000 કિલો ઘઉંનો લોટ તેમજ 350થી વધુ રસોયાનો સ્ટાફ અને 20,000 થી વધુ સ્વયંસેવક ઉપસ્થિત રહેશે તથા એક સાથે બે લાખ લોકો ભોજન લઇ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર મંદિર પ્રાંગણ રોશનીથી શણગારવામાં આવ્યું છે, જેમાં સવારે 8:30 કલાકે મહાયજ્ઞ, સવારે 10:30 કલાકે ગૌશાળાનું લોકાર્પણ, 11:00 કલાકે ધર્મસભા, બપોરે 3:30 કલાકે રાજકીય સામાજીક આગેવાનોનો સન્માન સમારંભ, સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા હોલીકા દહન સાંજે 6:30 કલાકે કરવામાં આવશે. તેમજ સંધ્યા આરતી સાંજે 7:30 કલાકે તેમજ સંતવાણી રાત્રે 9:00 કલાકે રાખવામાં આવ્યો છે.
3 માર્ચ, 2026 મંગળવારે સવારે 9:00 કલાકે નુતન ધ્વજા આરોહણ અને બપોરે 12:00 કલાકે ફુલડોલ આરતી તેમજ ધુળેટી ઊત્સવની ઉજવણી કરવામાં આવશે.
વાહનો અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્જન અંગેનું જાહેરનામું, દુધરેજવાળા રસ્તા પર વાહનો પ્રવેશ નિષેધ
વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ સાથે 1 માર્ચ અને 2 માર્ચે ખોડું દુધરેજવાળા રસ્તા પર વાહનોને ચાલવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં દુધરેથી નગરા ખોડુ તથા તે રૂટ પર આવતા ગામો તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનોને મૂળી તરફથી જવાનું રહેશે. આ ઉપરાંત તમારા નગરા ખોડુ તથા તે રૂટ ઉપર ચાલતા તમામ વાહનોને નગરા દાણાવાળા ગોદાવરીથી સુરેન્દ્રનગર દુધરેજ આવવાનું થશે. તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમ યોજવામાં આવશે.
મહંત કનીરામ બાપુને વહાલી ગણાતી શીતલ ગાયના નામે ગૌશાળા સ્થાપિત કરવામાં આવી. પરમ પૂજ્ય મોરારીબાપુ સહિતના 250થી વધુ સંતો અને દૈનિક ત્રણ લાખથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ગૌશાળાનું પણ લોકાર્પણ કરવામાં આવશે - કોઠારી સ્વામિ મુકુંદરામ બાપુ.
સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે આવેલા વડવાળા દેવના પ્રાગટ્ય દિવસે જ મહંત કનીરામદાસજી બાપુને અતિ પ્રિય ગણાતી શીતલ ગાયના સ્મરણાર્થે 10 એકર જમીનમાં ગૌશાળા બંધાવવામાં આવી છે. આ શીતલ ગાય છ મહિનાની હતી ત્યારથી જ્યાં સુધી પોતાનું જીવન જીવી ત્યાં સુધી કનીરામદાસજી બાપુની સાથે જ રહેતી અને તેની સાથે અનેક યાદો પણ કનીરામદાસજી બાપુની જોડાયેલી છે. બાપુની પ્રિય ગાય હતી 2017માં દેવલોક થઈ ગઈ ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળવા પામ્યું હતું. હવે તેની યાદમાં બાપુએ ગૌશાળા બંધાવી હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી 250થી વધુ સંતોની ઉપસ્થિતિમાં આ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવશે. પ્રત્યેક દિવસે ત્રણ લાખ લોકો વરસાદી લેશે અને 50,000 લિટર દૂધની પ્રસાદી બનાવવામાં આવશે જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:

