ઈટીવી ભારતના એક સવાલથી ઉભી થઈ ભાવનગર મનપાની ઢળી પડેલી ખજૂરી, ગાર્ડન વિભાગ વૃક્ષો પાછળ ખર્ચે છે આટલા પૈસા
ભાવનગર મનપાના ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષની માવજાતનો એક કિસ્સો સામે આવ્યો છે, અને એક સવાલથી માવજતના અભાવે ઢળી પડેલી ખજૂરી ઉભી થઈ ગઈ. જાણો વિસ્તારથી...

Published : February 25, 2026 at 1:54 PM IST
|Updated : February 25, 2026 at 4:08 PM IST
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા વિકાસ માટે બગીચાઓ અને ડિવાઇડરોમાં વૃક્ષારોપણ કરી રહ્યું છે. જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો પણ થાય છે. ત્યારે શહેરના છેવાડે આવેલું સિદસર ગામ મહાનગરપાલિકામાં સમાયા બાદ તેના તળાવનો વિકાસ કરવામાં આવ્યો છે.
તળાવની બહારની તરફ ખજુરી જેવા મોટા વૃક્ષોને ત્યાં લગાવવામાં આવ્યા છે. વૃક્ષો પાછળ ખર્ચો કર્યા બાદ તેને માવજત કેટલી તેની સ્થિતિ પણ સામે આવી છે. ખજુરી વિશે અને વૃક્ષારોપણને ખર્ચાને પગલે ચાલો જાણીએ.
સીદસર ગામે ખજૂરીની હાલત
ભાવનગરના છેવાડે આવેલા સીદસર ગામના તળાવનો વિકાસ કર્યા બાદ બહારની તરફ ખજુરીઓ લગાવવામાં આવેલી છે. જો કે આ ખજૂરીની ઊંચાઈ 8 થી 10 ફૂટ જેટલી છે. 8 થી 10 ફૂટ જેટલી ખજૂરીને ઉછેરવામાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો સમય જાય છે. ત્યારે મહાનગરપાલિકાએ તૈયાર ખજૂરીઓ લાવીને અહીંયા લગાવી છે, તે પૈકીની બે જેટલી ખજૂરીઓ માવજતને કારણે ઢળી પડી હોય અને મૃત અવસ્થામાં પહોંચી ગઈ હોય તેવા દ્રશ્યો ઇટીવીના કેમેરામાં કેદ થયા છે. સ્થિતિ જોઈને લાગતું હતું કે, આ ખજૂરીને ઉછેરવી હવે શક્ય રહી નથી. ત્યારબાદ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારી સાથે ઇટીવીએ મુલાકાત કરી હતી.

ખજુરી માટે હજારો ખર્ચાયા
મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારી બી.એમ.અડવાણી સાથે વાતચીત કરી ત્યારે કેમેરા સામે તો કહ્યું હતું કે, મહાનગરપાલિકાને ધ્યાને આવતા જ આપણે તાત્કાલિક ત્યાં પાણી નાખીએ છીએ અને ખાતર નાખીને તેને માવજત માટે કાર્યવાહી હાથ ધરી છે.

જો કે અધિકારીએ મૌખિક જણાવ્યું હતું કે, આ તળાવનો વિકાસ કરવામાં આવ્યો ત્યારે બહારની તરફથી ખજૂરી લગાવવામાં આવી છે, તેની પાછળ મહાનગરપાલિકાએ 20 ખજૂરી માટે આશરે 80 હજારથી લાખ રૂપિયા જેવો ખર્ચ કર્યો છે, હાલમાં ત્યાં પાણી નાખીને માવજત કરવામાં આવી રહી છે.

અધિકારીને સવાલ થતાં બીજા દિવસે ખજુરી ઊભી થઈ
સીદસર તળાવની બહાર એક નહીં પરંતુ બે ખજુરી મૃત અવસ્થામાં પહોંચી ગઈ હતી. ઈટીવી ભારતે જ્યારે ગાર્ડન વિભાગના અધિકારીને ખજૂરી મામલે સવાલો કર્યા બાદ બીજા દિવસે ત્યાં મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા ખજુરીને પાણી પીવડાવવાનું અને ખાતર નાખવાની શરૂઆત કરી હતી. કેમેરામાં દ્રશ્યો 6 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવ્યા હતા. 10 તારીખે અધિકારીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું. આ ચાર દિવસ દરમિયાન પણ ખજુરીને જોવા કોઈ ચકલું પણ ફરક્યું નહોતું. પરંતુ ઇન્ટરવ્યૂ લીધા બાદ બીજા દિવસે જ ખજુરીની માવજત લેવાની શરૂઆત થઈ અને ખજુરી અંતમાં જીવંત થઈ ગઈ હતી. જેના દ્રશ્ય પણ ઈટીવીના કેમેરામાં 20 ફેબ્રુઆરીએ લેવામાં હતા. પરંતુ પ્રશ્ન એ છે કે લાખો હજારો ખર્ચ્યા પછી પણ આ વૃક્ષોની માવજત ગાર્ડન વિભાગ દ્વારા કેવી થતી હશે ?
છેલ્લા ત્રણ વર્ષમાં વૃક્ષ પાછળ ખર્ચ
મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે બગીચાઓ ડિવાઈડરોમાં વૃક્ષો ઉછેરવા બાબતે ગાર્ડન વિભાગને લાખો રૂપિયા આપવામાં આવે છે. ત્યારે ગાર્ડન વિભાગના અધિકારી બી.એમ.અડવાણીએ જણાવ્યું હતું કે, આપણે અલગ-અલગ વૃક્ષારોપણ કરીએ છીએ. સર્વેક્ષણ કે અન્ય ગ્રાન્ટ મારફત કામ કરાવીએ છીએ. આપણે જોઈએ તો મુખ્ય કામોમાં વર્ષ 23 અને 24માં અંદાજે 66 લાખ અને વર્ષ 24 અને 25 માં 93 લાખ જેવો ખર્ચ ટ્રી ગાર્ડ અને વૃક્ષારોપણ પાછળ કરવામાં આવ્યો છે.

