ભાવનગર મહાનગરપાલિકાનું 1900.80 કરોડનું બજેટ મંજૂર, 37 પ્રોજેક્ટ માટે ખર્ચાશે પૈસા
વિપક્ષના હોબાળો અને વિરોધ વચ્ચે બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જો કે બજેટમાં 37 પ્રોજેકટ છે.

Published : February 28, 2026 at 2:36 PM IST
ભાવનગર : મહાનગરપાલિકાનું અને શિક્ષણ સમિતિનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. વિપક્ષના હોબાળો અને વિરોધ વચ્ચે બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જો કે બજેટમાં 37 પ્રોજેકટ છે. આ સાથે અન્ય કામોને પણ સમાવવામાં આવ્યા છે. ચાલો વિગતે જાણીએ આ અહેવાલમાં...
ભાવનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026 અને 27ના બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સવારથી લઈને મોડીરાત્રી સુધી બજેટ બેઠક ચાલી હતી. વિપક્ષ દ્વારા પ્રહારો ચાલુ રાખવામાં આવ્યા હતા. જ્યારે શાસકો દ્વારા બજેટને પગલે બહુમતીના જોરે અંતમાં સર્વાનુમતે બજેટને મંજૂર કર્યું છે. બજેટમાં પ્રાથમિક રીતે જોઈએ તો કેવા કાર્યો અને પ્રોજેક્ટોને સમાવવામાં આવ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાનું 1900.80 કરોડનું બજેટ મંજૂર
ભાવનગર મહાનગરપાલિકાની કચેરીમાં સભાખંડ ખાતે ગઈકાલે સવારથી બજેટ બેઠકનો પ્રારંભ થયો હતો અને મોડી રાત્રે બેઠક પૂર્ણ થઈ હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાનું 1900.80 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે શિક્ષણ સમિતિનું 170.30 કરોડનું બજેટ કોઈપણ કાપકુપ કર્યા વગર મંજૂર કરાયું છે. જો કે આ સાથે છેલ્લા ગયા વર્ષોના હિસાબ પણ બજેટ બેઠકમાં આપવામાં આવ્યા હતા.

છેલ્લા બે વર્ષમાં કામોની સ્થિતિ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, "છેલ્લા બે વર્ષનો હિસાબ મેં બજેટમાં આપ્યો છે. વાત કરીએ તો વર્ષ 2024 અને 2025માં અમે 30 પ્રોજેક્ટ માંથી 7 પ્રોજેક્ટમાં અમારે કામ થયું નથી. એક પ્રોજેક્ટમાં ડીપીઆરની પ્રક્રિયા થઈ છે. જ્યારે 13 પ્રોજેક્ટમાં 39 ટકા કામ થયું છે. જ્યારે 12 પ્રોજેક્ટમાં 36 ટકા કામ પૂર્ણ થઈ પ્રજાની સેવામાં આપી દેવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2025 અને 2026માં 53 પ્રોજેક્ટમાં 3 પ્રોજેક્ટ શરૂ થયા નથી. 10 પ્રોજેક્ટમાં ડીપીઆરથી આગળ 10 ટકા કામ થયું છે. જ્યારે પ્રગતિમાં 32 જેટલા પ્રોજેક્ટમાં 60 ટકાથી વધુ કામ થયું છે. જ્યારે પૂર્ણ થઈ ગયા હોય તેવા 8 જેટલા પ્રોજેક્ટ છે. જો કે કેટલાક પ્રોજેક્ટ લાંબા ગાળાના હોવાથી તેમાં સમય લાગતો હોય છે."

"મહાનગરપાલિકામાં 5 ગામનો હાલ સમાવેશ કરવામાં આવ્યો છે. આપણને નવા તળાવો પણ મળ્યા છે, ત્યારે શહેરમાં આવેલા તમામ તળાવના પગલે સરોવર કમિટી બનાવી છે. આ સાથે પ્રાથમિક શાળાઓને પગલે એક સક્ષમ કમિટીનું પણ આયોજન કરાયું છે. જ્યારે આરોગ્ય કેન્દ્રના નિરીક્ષણ માટે પણ કમિટી બનાવી છે. ગુજરાત દિવસ અને ભારત દિવસ ઉજવવા માટે પણ અમે સમાવેશ કર્યો છે." - રાજુભાઈ રાબડીયા, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી
વર્ષ 2026/27માં શું કરશે મનપા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, "વર્ષ 2026 અને 2027માં 37 જેટલા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે, તેમાં પછી સર્કલ ડેવલોપમેન્ટ, કોમ્યુનિટી હોલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, ઓવરહેડ ટાંકી હોય વગેરે જે કામ પ્રગતિમાં છે. 37 પ્રોજેક્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલાઓ માટે સશક્તિકરણ મહિલાઓનો પોતાની માર્કેટ હોય તેની જોગવાઈ છે. પોલીસી લેવલે જાહેરાતની પોલીસી હોય કે અન્ય પોલીસી હોય કે પછી બ્લોક નાખ્યા બાદ ખોદવામાં આવે જેનાથી તકલીફો ઊભી થતી હોય તો તેના માટે પણ પોલીસી બનાવી છે."

શહેરમાં હવે ક્યાં વિકાસના કામો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા હતું કે, "અમે પીવાના પાણીની કેપેસિટી વધારવા માટે પણ આગળ વધવાના છીએ. બોરતળાવમાં ઇન્ટેક વેલ બનાવવા માટે પણ પ્લાન છે. આ સાથે શહેરમાં એક પણ દિવ્યાંગ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નથી, જે બનાવવા માટે પણ જોગવાઈ કરી છે. સેમિનાર પ્રદર્શન વગેરે જેવા કાર્યક્રમો માટે પણ એક સેન્ટર ઊભું કરવામાં આવશે. ગૌ ગ્રામ આધુનિક કેટલફીડ બનાવવા માટે 30,000 ચોરસ મીટરમાં જોગવાઈ કરાઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, "મોતીબાગની બાજુમાં એક હોલ ભોજન કે જમણવાર વગેરે માટે બનાવવાનું તેમજ અન્ય બગીચાઓ માટે, સિનિયર સિટીઝન માટે પાર્ક, સ્માર્ટ આંગણવાડી શાળા, રોડ કનેક્ટિવિટી, કુંભારવાડા અંડરબ્રિજ જેવા કામોની જોગવાઈ કરાઈ છે. અધેવાડા થી નેશનલ હાઈવે સુધીનો રોડ પણ જોડવામાં આવશે."
આ પણ વાંચો...

