ભાવનગર: મહુવામાં જાહેરમાં ફટાકડા વેપારીની હત્યા કેસમાં આવ્યો ચુકાદો, 4 આરોપીઓને આજીવન કેદની સજા
હુમલામાં ગોપાલભાઈ ડોડીયા નામના શખ્સનું મૃત્યુ નિપજતા ફરિયાદ નોંધાઈ હતી.

Published : January 1, 2026 at 10:26 AM IST
ભાવનગર: જિલ્લાના મહુવામાં 2020માં દિવાળીના સમયમાં લારીમાં ફટાકડા વેચી રહેલા મામા-ભાણિયા ઉપર પાઇપ અને છરી વડે હુમલાની ઘટનામાં 4 આરોપીઓને આજીવન કેદની સજા કરાઈ છે. તો અન્ય બે આરોપીઓને શંકાના આધારે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. હુમલામાં ગોપાલભાઈ ડોડીયા નામના શખ્સનું મૃત્યુ નિપજતા ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે 6 આરોપીઓને ઝડપી લીધા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો.
2020માં બની હતી હત્યાની ઘટના
ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દીપક ઉર્ફે કાળુભાઈ બાબુભાઈ બારૈયા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 14/11/2020 ની રાત્રિના સમયે રાત્રે 10.15 વાગ્યા આસપાસ સરકારી હોસ્પિટલથી ગાંધીબાગ જવાના માર્ગ ઉપર ઓમકા અને અની કપડાની દુકાનની સામે લારીમાં તેઓ અને તેના કૌટુંબીક મામા ગોપાલ દેવજીભાઈ ડોડીયા ફટાકડાનું વેચાણ કરતા હતા. ત્યારે ચાર શખ્સો આવીને ગાળો બોલતા હોય જેને તેના મામાએ ટપાર્યા હતા.

પરત ફર્યાં અને કર્યો જીવલેણ હુમલો
ફરિયાદના જણાવ્યા પ્રમાણે 14/11/2020 તારીખની રાત્રે 10.00 કલાકે રસિકભાઈ ભાલીયા, હરેશભાઈ ભાલીયા, નયન ડાભી અને કૌશિક પરમાર અગાવ માથાકૂટ કરીને ગયા બાદ ફરી રાત્રે 10.30 કલાકે આવીને તેમના કૌટુંબિક મામા ગોપાલભાઈ ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા નોંધાયેલી ફરિયાદ પ્રમાણે પોલીસે સમગ્ર ઘટનામાં છ શખ્સોને ઝડપી લીધા હતા.
કોર્ટમાં કેસ ચાલી જતા આજીવન સજા
સરકારી વકીલ કમલેશભાઈ કેસરીએ જણાવ્યું હતું કે, મહુવામાં 14/11/2020 ને રાત્રે એક હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ગોપાલભાઈ દેવજીભાઈ ડોડીયા ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. કોર્ટમાં 87 લેખિત અને 38 મૌખિક પુરાવા રજૂ કર્યા બાદ દ્વારા કોર્ટે ભોગ બનનારના પરિવારને 50000નું વળતર આપવા અને હરેશ ભાલીયા, રસિક ભાલીયા, નયન ડાભી અને કૌશિક પરમારને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાના આધારે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો:

