એસટી બસને ઓવરટેક કરવા જતાં ઓટો રીક્ષા પલ્ટી, બેને ઈજા, અમરેલીના સાવરકુંડલા પાસે બની ઘટના
અમરેલીના સાવરકુંડલા નજીક એસટી બસને ઓવરટેક કરવા જતાં રિક્ષા ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને રીક્ષા પલટી મારી ગઈ હતી.

Published : February 26, 2026 at 5:32 PM IST
અમરેલી: સાવરકુંડલા તાલુકામાં ચરખડીયા અને ઓળીયા ગામ વચ્ચે આજે એસટી બસ અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ મહુવાથી જામનગર તરફ જઈ રહેલી એસટી બસને ઓવરટેક કરવા જતા રિક્ષા ચાલકે નિયંત્રણ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાના પગલે માર્ગ પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાવરકુંડલા નજીક હાઇવે પર એસટી બસ આગળથી પસાર થતી વખતે પેસેન્જર રિક્ષા અચાનક અસંતુલિત બની ગઈ હતી અને હાઇવે પર પલટી મારી ગઈ હતી. રિક્ષા પલટી જતા તેમાં બેઠેલા બે મુસાફરોને સામાન્ય પ્રકારની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા.

આ અકસ્માતમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં મુસાફરી કરતા મુસાફરો પણ ગભરાઈ ગયા હતા અને કેટલાક સમય માટે રસ્તા પર અવરોધ સર્જાયો હતો. સદનસીબે બસમાં બેઠેલા મુસાફરોને કોઈ ગંભીર ઇજા થઈ નહોતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બંને ઇજાગ્રસ્તોની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે શેલણા ગામના સરપંચ કાળુભાઈ લુણસરએ જણાવ્યું હતું કે, ઓવરટેક જેવી બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા, જેમને ખાનગી વાહન મારફતે હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તંત્ર દ્વારા વાહન ચાલકોને હાઇવે પર સાવચેતી રાખવા અને ઉતાવળભરી ડ્રાઇવિંગથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

