અરવલ્લી: "ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરો", મેઘરજ મુસ્લિમ સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર
આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગૌ માતા પ્રત્યે મુસ્લિમ સમાજ પણ સમાન આદર અને સન્માનની ભાવના ધરાવે છે.

Published : June 1, 2026 at 9:00 PM IST
અરવલ્લી: મેઘરજ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી રેલી બાદ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગૌ માતા પ્રત્યે મુસ્લિમ સમાજ પણ સમાન આદર અને સન્માનની ભાવના ધરાવે છે. સાથે જ ગૌ હત્યા જેવા મુદ્દાઓને લઈને સમગ્ર મુસ્લિમ સમાજને બદનામ કરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌ માતાને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવામાં આવે તેમજ તેમની આ માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવે. મામલતદારને રજૂઆત સ્વીકારી સરકાર સમક્ષ માંગણી પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સમસ્ત મેઘરજ મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મેઘરજ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સામાજિક આગેવાન નસરૂદ્દીન મકરાણીએ જણાવ્યું હતું કે દેશમાં ગાયના નામે વધતી મોબ લિંચિંગની ઘટનાઓ ચિંતાજનક છે, જેના કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા તેમજ મોબ લિંચિંગ જેવી ઘટનાઓ અટકાવવા કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. આ રજૂઆતમાં મુસ્લિમ સમાજ સાથે અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા.
આ પણ વાંચો:

