અમરેલી શહેરમાં મેગા ડિમોલેશન અભિયાન: દબાણો દૂર કરાયા, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા કાર્યવાહી
શહેરના મુખ્ય વિસ્તારોમાં વેપારીઓ અને અન્ય લોકોના દબાણોને કારણે વાહનવ્યવહાર અવરોધિત થતો હતો, સામાન્ય નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી.

Published : June 29, 2026 at 4:56 PM IST
અમરેલી : શહેરમાં લાંબા સમયથી માર્ગો પર ઉભા થયેલા દબાણો સામે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં લોકોની ફરિયાદો અને સતત સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા અને માર્ગ-મકાન (R&B) વિભાગે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત સેન્ટર પોઇન્ટ વિસ્તારથી લઈને રૂપમ ટોકીઝ અને લાઠી રોડ બાયપાસ સુધીના વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
મળતી માહિતી મુજબ, શહેરના માર્ગો પર કેટલાક વેપારીઓ અને અન્ય લોકો દ્વારા કરાયેલા દબાણોને કારણે વાહનવ્યવહાર અવરોધિત થતો હતો, તેમજ સામાન્ય નાગરિકોને પણ અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ બાબતે લાંબા સમયથી તંત્રને ફરિયાદો મળી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને મોટા પાયે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કાર્યવાહી દરમિયાન મોટાભાગના દબાણકારોએ તંત્રની સૂચના મળતા સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરી દીધા હતા, જેના કારણે કામગીરી વધુ ઝડપી બની હતી. જોકે, હજુ પણ કેટલાક સ્થળોએ બાકી રહેલા દબાણોને પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ સમગ્ર અભિયાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સહિત 50થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી.
સાથે જ, અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે એકવાર દૂર કરાયેલા દબાણો ફરી ઉભા ન થાય તે માટે નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગ દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવશે અને જરૂર જણાય તો ફરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો...

