અમરેલી: વાહનની અડફેટે સિંહણના મોત મામલે વનવિભાગની તપાસ, વાહનચાલકની અટકાયત
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા વનવિભાગની ટીમ અમદાવાદ સુધી પહોંચી હતી અને સ્વીફ્ટ કારના ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Published : January 9, 2026 at 12:25 PM IST
અમરેલી: અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક અજાણીયા વાહન હડફેટે એક સિંહણનું મોત થતાં વનવિભાગે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા વનવિભાગની ટીમ અમદાવાદ સુધી પહોંચી હતી અને સ્વીફ્ટ કારના ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા અને જાફરાબાદ પંથકમાંથી પસાર થતો ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે સિંહોના અવરજવરવાળા વિસ્તાર તરીકે જાણીતો છે. તારીખ 4 જાન્યુઆરીના રોજ જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક માર્ગ પર સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અજાણીયા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન ચલાવી સિંહણને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયાનું સામે આવ્યું હતું.
આ ઘટના બાદ શેત્રુંજી ડિવિઝનના એ.સી.એફ. વિરલ સિંહ ચાવડાના નેતૃત્વ હેઠળ જાફરાબાદ રેન્જ વનવિભાગની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ઉના થી ભાવનગર સુધીના માર્ગ ઉપર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે સતત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વાહન નજરે પડ્યું હતું, જેના આધારે આગળની કડીઓ જોડતાં વનવિભાગની ટીમ અમદાવાદ પહોંચી હતી. અમદાવાદ શહેર પોલીસની મદદથી તપાસ કરતા રવિભાઈ કનુભાઈ ભરવાડ (રહે. અમદાવાદ)ની સ્વીફ્ટ કાર નંબર GJ-27-AP-7798 ઝડપી લેવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ સિંહણ સાથે અકસ્માત થયાની કબૂલાત આપતા વનવિભાગ દ્વારા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીને જાફરાબાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો. આ ઘટનાએ ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે.
વનવિભાગે જણાવ્યું હતું કે, રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ હોવાના કારણે રોડ ક્રોસ કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તેથી વનવિભાગ દ્વારા તમામ વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે સિંહોની અવરજવરવાળા માર્ગો ઉપર ઝડપ ઘટાડીને વાહન ચલાવવું અને સંપૂર્ણ તકેદારી રાખવી જરૂરી છે.
અહીં રાજુલા જાફરાબાદમાં બૃહદગીર વિસ્તારમાં સિંહનો ખૂબ મોટો વસવાટ છે. તેઓની ખૂબ મોટી સંખ્યા અહીં નોંધાયેલી છે ત્યારે સિંહ રાત્રિ દરમિયાન અવારનવાર નેશનલ હાઇવેને ક્રોસ કરતા જોવા મળે છે. ઘણી દુર્ઘટનાઓ પણ સિંહની બની છે ત્યારે લોકોની માંગ છે કે અહીં વન વિભાગ નિયમિત પ્રેરણા પેટ્રોલિંગ કરે, અહીં નેશનલ હાઈવે ઉપર રેલવે ટ્રેકની જેમ અહીં હાઇવે ટ્રેકર અને બેસાડવામાં આવે જેથી સિંહોની સુરક્ષા થઈ શકે અને આ સિંહો કમો તે મરતા બચી શકે.
આ પણ વાંચો:

