અમરેલીનો ખેડૂત રતાળુની ખેતી દ્વારા કરે છે લાખોની કમાણી, જાણો કેવી રીતે કરે છે ખેતી
નાના એવા ગામમાં નવી ખેતી પદ્ધતિ જોવા માટે સમગ્ર જિલ્લામાંથી ખેડૂતો આવી રહ્યા છે.

Published : January 11, 2026 at 6:32 AM IST
અમરેલી : જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના પ્રગતિશીલ ખેડૂત વિનુભાઈ બાલધાએ જિલ્લામાં પ્રથમવાર રતાળાની ખેતી કરીને ખેતી ક્ષેત્રે નવી દિશા દર્શાવી છે. પાંચ વીઘા જમીનમાં રતાળાની ખેતી કરીને વિનુભાઈએ લાખોની કમાણીનો માર્ગ ખુલ્લો કર્યો છે.
વિનુભાઈએ ઓછી પાણી જરૂરિયાત અને સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી માત્ર છાણિયું ખાતર અને નિયમિત પાણી દ્વારા રતાળાની ખેતી કરી છે. 4 થી 5 મહિનાની મર્યાદિત સમયગાળામાં પાક તૈયાર થતો હોવાથી આ ખેતી ખેડૂતો માટે ખૂબ લાભદાયી સાબિત થઈ રહી છે. એક વીઘામાં અંદાજે 250 થી 300 મણ સુધીનો ઉતારો આવે છે અને બજારમાં રતાળાને મણદીઠ રૂ. 800 થી રૂ. 1,000 સુધીનો ભાવ મળી રહ્યો છે.
પીઠવડી ગામમાં ઉગાડાયેલ રતાળું લેવા માટે આણંદ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્રના મુંબઈથી વેપારીઓ આવી રહ્યા છે. ખાસ કરીને મુંબઈના બજારમાં ગુજરાતની સરખામણીએ વધુ ભાવ મળતો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

"સૌરાષ્ટ્રમાં પ્રથમવાર પીઠવડી ગામમાં રતાળાની ખેતી સફળ રહી છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. કરકે ઓછા બજેટ એ સારી એવી ખેડૂત આ રતાળાની ખેતીમાં કમાણી કરી શકે છે અને ઓર્ગેનિક ખેતી હોવાથી વેપારીઓ, તુરંત અહીંથી આવીને આ રતાળુ લઈ જાય છે, ત્યારે ચારથી પાંચ મહિનામાં આ રતાળુ જમીનમાં તૈયાર થાય છે અને તેનું વેચાણ પણ ઘરે બેઠા જ થઈ જાય છે તે ખેડૂતોને ખૂબ લાભદાયી આ રતાળાની ખેતી છે." - સંજય કામળિયા, ખેડૂત
રતાળાની વિશેષતા એ છે કે, ભાવ અનુકૂળ હોય ત્યારે જ જમીનમાંથી કાઢીને વેચી શકાય છે, જેથી ખેડૂતને નુકસાનની શક્યતા ઓછી રહે છે. પાંચ વીઘાની ખેતીમાંથી વિનુભાઈને આ સીઝનમાં અંદાજે રૂ. 8,40,000થી વધુની આવક થવાની શક્યતા છે. જિલ્લામાં પ્રથમવાર રતાળાની ખેતી કરીને લાખોની કમાણી થતાં પીઠવડી ગામ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

પીઠવડીના ખેડૂત વિનુભાઈએ નવો જ જિલ્લો ચિતર્યો છે અને ખેડૂતોને પોતે સલાહ પણ આપી રહ્યા છે કે હવે આ બધી પૌરાણિક ખેતી છોડી અને નવી અને આધુનિક ખેતી તરફ આવે જેથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય અને એની જમીનનો ખૂબ ખેડૂતો સારો એવો ઉપયોગ કરી શકે વળી આ રતાળની ખેતર ખેતીમાં રોજ ભૂંડનો પણ ખૂબ ઓછો ત્રાસ છે, તેઓ એમની તીવ્ર ગંધને કારણે આવતા નથી અને જેથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે અને રાત ઉજાગરા પણ ખેડૂતે ઓછા થાય છે.

જેથી વિનુભાઈ સૌરાષ્ટ્રના ખેડૂતોને રતાળુ વાવવાની સલાહ પણ આપી રહ્યા છે. નાના એવા ગામમાં નવી ખેતી પદ્ધતિ જોવા માટે સમગ્ર જિલ્લામાંથી ખેડૂતો આવી રહ્યા છે.
આ પણ વાંચો...

