અમરેલી: ખાંભા તાલુકાના ડેડાણ ગામે પુલના કામ સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ
તંત્ર અને કોન્ટ્રાક્ટરની અયોગ્ય કામગીરી સામે ગ્રામલોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગામના પુલના કામને લઆ સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

Published : January 8, 2026 at 4:53 PM IST
અમરેલી : જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે સુવિધા પથ યોજના અંતર્ગત બની રહેલા પુલના કામને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ગામના પ્રવેશ માર્ગ પર રોડની દિશાના વિરુદ્ધ ત્રાંસો પુલ બનાવવામાં આવતા ગ્રામજનો તથા વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની અયોગ્ય કામગીરી સામે ગ્રામલોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ડેડાણ ગામે સુવિધા પથ યોજના હેઠળ બનતા પુલનું કામ મુખ્ય રસ્તાની લાઈન મુજબ સીધું ન રાખી રોડથી અલગ ક્રોસ દિશામાં કરવામાં આવી રહ્યું હોવાથી વાહન વ્યવહાર ગંભીર રીતે ખોરંભાયો છે. ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં અસંતોષ વધતો ગયો છે.
"જો તંત્ર દ્વારા પુલના કામમાં યોગ્ય સુધારા કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ સમસ્યા ઊભી નહીં થાય. હાલ સ્થિતિ એવી છે કે એસટી બસ ગામમાં પ્રવેશ કરી શકતી નથી અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. અનેક વખત રજૂઆત છતાં અધિકારીઓ સ્થળ પર વિઝિટ કરવા પણ આવ્યા નથી. જો પુલનું કામ આ જ રીતે ચાલુ રહેશે તો વેપારીઓના ધંધા-રોજગાર સાવ ભાંગી જશે અને આગામી દિવસોમાં ડેડાણ ગામ બંધ રાખવાની ફરજ પડશે." - સલીમભાઈ શેખ, વેપારી અગ્રણી
ગામના પ્રવેશ માર્ગ પર રોડની વિરુદ્ધ ત્રાંસો પુલ બનાવાતા ડેડાણના ગ્રામજનો અને વેપારીઓએ ખાંભા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપી પુલનું કામ રસ્તાની દિશા મુજબ સીધું કરવા માંગ કરી હતી. છતાં અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન ન અપાતાં પુલનું કામ યથાવત રાખવામાં આવ્યું છે.


આ પરિસ્થિતિના કારણે છેલ્લા ત્રણ મહિનાથી ડેડાણ ગામમાં એસટી બસની અવરજવર બંધ છે, જેના કારણે વેપારીઓના ધંધા-રોજગાર પર ગંભીર અસર પડી રહી છે. પુલનું કામ લાંબા સમયથી ચાલુ હોવાથી સામાન્ય જનતા અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

"પુલનું કામ પૂર્ણ થયા બાદ સુવિધા પથ યોજના હેઠળ હાલની અંદાજે ૩૭૫ મીટરની જગ્યાએ ૫૫૦ મીટરનો પહોળો રોડ બનાવવામાં આવશે, જેથી વાહન વ્યવહાર વધુ સુવ્યવસ્થિત બની રહેશે. તેમજ સ્થળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પુલની સેટિંગ યોગ્ય રીતે કરવામાં આવે અને વાહન વ્યવહાર ખોરંભાય નહીં તેની તકેદારી રાખવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે." - સ્મિતકુમાર ચૌધરી, કાર્યપાલક, માર્ગ અને મકાન વિભાગ અમરેલી
ડેડાણ ગામના પ્રવેશ માર્ગ પર રોડની વિરુદ્ધ પુલ બનાવવાના મુદ્દે ગત શનિવારે સ્થળ પર વિઝિટ કરવામાં આવી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે પુલનું સ્ટ્રક્ચર અને વોટરવેની જગ્યામાં ગેરસમજથી ક્રોસ રીતે બનાવાયું છે. જોકે સ્થળ પર ચકાસણી બાદ એવું જાણવા મળ્યું કે પુલનું સ્ટ્રક્ચર મૂળ વોટરવે પર જ બનાવાયું છે.
આ પણ વાંચો...

