અમદાવાદના લાલ દરવાજા બજારમાં દિવાળીની ખરીદીનો અદભૂત માહોલ
લાલ દરવાજા બજારમાં પગ મૂકવાની જગ્યા નથી. આ બજારમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો માટે દરેક પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે.

Published : October 15, 2025 at 6:33 PM IST
અમદાવાદ: દિવાળીનો તહેવાર આવવાને ગણતરીના કલાકો બાકી છે, અને અમદાવાદના લાલ દરવાજા અને ભદ્રકાળી મંદિર પાસેના બજારમાં ખરીદી માટે અદભૂત માહોલ જોવા મળી રહ્યો છે. ઐતિહાસિક લાલ દરવાજા બજાર દર વર્ષે દિવાળીની ખરીદી માટે લોકોની ભીડથી ઉભરાતું હોય છે. અહીં લોકો નાની વસ્તુઓથી લઈને સોના-ચાંદી સુધીની ખરીદી કરે છે. આ વર્ષે પણ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં દેશ-વિદેશથી લોકો દિવાળીની ખરીદી માટે આવ્યા છે.
લાલ દરવાજા બજારમાં પગ મૂકવાની જગ્યા નથી. આ બજારમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો માટે દરેક પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે. આ બજારને અમદાવાદનું હૃદય ગણવામાં આવે છે.
પાથરણા બજારના પ્રમુખ મહંમદ યુનુસ ટોંકવાલાએ જણાવ્યું કે, “અમદાવાદ શહેરમાં લાલ દરવાજા અને ભદ્રકાળી મંદિર પાસે છેલ્લા 50 વર્ષથી બજાર લાગે છે. આ ઐતિહાસિક બજારમાં વિશ્વભરમાંથી લોકો ખરીદી કરવા આવે છે. અહીં ભદ્રકાળી મંદિરની નજીક કાપડનું બજાર, લાલ દરવાજા, રતનપોળ, કોસ્મેટિક માર્કેટ, જ્વેલરી, ફૂટવેર અને અન્ય દરેક વસ્તુ એક જ જગ્યાએ મળી જાય છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, 844 પાથરણાવાળાઓને કોર્પોરેશન દ્વારા કાયદેસરની પરવાનગી આપવામાં આવી છે, અને આ લોકોની રોજીરોટી પાથરણા પર નિર્ભર છે. દિવાળીના આ સમયે વેપારીઓ આખા વર્ષની કમાઈ કરવાની આશા સાથે પોતાના પાથરણા લગાવે છે, અને બજારમાં ધૂમધામથી ખરીદી થઈ રહી છે.

રાજેશભાઈ કહારે જણાવ્યું, “છેલ્લા 75 વર્ષથી અમે અહીં વેપાર કરીએ છીએ, અને હું છેલ્લા 25 વર્ષથી પાથરણું લગાવું છું. અમે મેક્સી અને ગાઉન વેચીએ છીએ. આ વર્ષે દિવાળીનો ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ છે, અને લોકો ખૂબ ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે. અગાઉ પાથરણાવાળાઓને પરેશાન કરવામાં આવતા હતા, પરંતુ હવે અમને મંજૂરી મળી છે, અને બધા વેપારીઓ પોતાનો વ્યવસાય ખુશીથી કરી રહ્યા છે.”

ખરીદી કરવા આવેલા શ્યામ બોરાએ જણાવ્યું, “હું રાજસ્થાનથી દર વર્ષે અમદાવાદના આ ઐતિહાસિક બજારમાં ખરીદી કરવા આવું છું. લાલ દરવાજા બજારમાં તમામ પ્રકારની ફેન્સી આઇટમ્સ, ડ્રેસ અને વિવિધ થીમની વસ્તુઓ મળી જાય છે. દિવાળી માટે જરૂરી દરેક વસ્તુ અહીં એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. હું દર વર્ષે ખરીદી કરીને રાજસ્થાન પાછો જાઉં છું અને દિવાળીની ઉજવણી કરું છું.”

નીતાબેન હેમરાએ જણાવ્યું, “હું મૂળ રાજકોટની છું અને અમદાવાદમાં રહેવા આવી છું. લાલ દરવાજા બજારમાં ખરીદી કરવા આવવું ખૂબ આનંદદાયક છે, ખાસ કરીને દિવાળી દરમિયાન. અહીંથી નવાં કપડાં, બંગડી, ચપ્પલ, મેકઅપ અને અન્ય ઘણી વસ્તુઓ મળે છે. GSTને કારણે થોડું નુકસાન થયું છે, પરંતુ ખરીદીનો આનંદ અલગ જ છે.”
આ પણ વાંચો:

