'AMCના નામે નાના ચિલોડામાં ડિમોલિશન કોણ કરી ગયું' ? તોડી પડાયેલી 3 દુકાનને લઈને AMCની સ્પષ્ટતા
AMCએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે, આ કાર્યવાહી તેમણે કરી નથી, પરંતુ જે કોઈએ આ કાર્યવાહીમાં AMCનું નામ વટાવ્યું છે તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરાશે.

Published : August 25, 2026 at 1:29 PM IST
|Updated : August 25, 2026 at 5:20 PM IST
અમદાવાદ: અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મહાનગર પાલિકાના નામે ડિમોલિશન થયું હોવાની માહિતી સામે આવી હતી. નાનાં ચિલોડામાં 3 દુકાનોનું ડિમોલેશન થયું. પરંતુ આ મુદ્દે કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે, AMCની કોઈ મશીનરી કે કોઈ વ્યક્તિનો ડિમોલિશનમાં હાથ નથી.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે, નાના ચિલોડામાં કોર્પોરેશનની કોઈ મશીનરી કે કોઈ વ્યક્તિનો હાથ નથી. ખાનગી વ્યક્તિઓ વચ્ચેની આ બાબત છે. આ ડિમોલિશન પાછળ કોર્પોરેશનનું ખોટું નામ લેવાઈ રહ્યું છે. જે કોઈપણ વ્યક્તિએ આ ડિમોલિશનને AMC દ્વારા કરાયું હોવાનું નામ લીધું છે તે તમામ સામે કાર્યવાહી થશે. એમસીને આ ડિમોલેશન સાથે કોઈ લેવા દેવા નથી. જે જગ્યાએ કામ કરવામાં આવશે તે જીઆઇડીસીનો પ્લોટ છે.
ત્રણ દુકાનો તોડવામાં આવી છે, જોકે, ખાનગી જગ્યાએ એમસી જતું નથી. અમારા અધિકારીઓ પણ આ બાબત જાણવા આવી ત્યારે સ્થળ ઉપર ગયા હતાં અને મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નાના ચિલોડા વિસ્તારમાં કેટલીક દુકાનો પર અચાનક બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી કરનાર ટીમે સ્થાનિકોને એવી જાણકારી આપી હતી કે, તેઓ કોર્પોરેશનની ટીમ છે, અને વિસ્તારમાં રહેલા અનઅધિકૃત દબાણો દૂર કરવા આવી છે. જોકે બાદમાં જ્યારે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ પાસેથી આ અંગે માહિતી મેળવવામાં આવી ત્યારે તંત્રએ આવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ઇન્કાર કર્યો હતું.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, AMCનું નામ વટાવીને જો કોઈ ખાનગી એજન્સી દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હશે, તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તંત્ર દ્વારા હવે ઘટનામાં સંડોવાયેલા લોકો કોણ છે, તેમણે કયા આધારે કાર્યવાહી કરી અને AMCના નામનો ઉપયોગ કેવી રીતે કર્યો તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. AMCના નામે બોગસ કાર્યવાહી કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેવી પણ તંત્ર તરફથી વાત કરવામાં આવી છે.
આ પણ વાંચો

