અમદાવાદના 16 વર્ષના મિથિલેશે Gen Z માટે લખ્યુ ગીતા પર પુસ્તક, કમાણી સરહદના બાળકોના શિક્ષણ માટે વાપરશે
મિથિલેશ ખાંડવાલાએ વર્તમાન સમયની 'Gen Z'ને કેન્દ્રમાં રાખીને ભગવદ્દ ગીતા અને તેનું મહત્ત્વ સમજાવતું પુસ્તક 'બંસી' લખ્યું છે.

Published : July 6, 2026 at 2:44 PM IST
અમદાવાદ: અમદાવાદની એક સ્કૂલમાં અભ્યાસ કરતા 16 વર્ષના વિદ્યાર્થી મિથિલેશ ખાંડવાલાએ વર્તમાન સમયની 'Gen Z'ને કેન્દ્રમાં રાખીને ભગવદ્દ ગીતા અને તેનું મહત્ત્વ સમજાવતું પુસ્તક 'બંસી' લખ્યું છે. તાજેતરમાં જ આ પુસ્તકનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પત્ની સોનલ શાહ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પત્નીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે યુવા લેખક મિથિલેશ ખાંડવાલાએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
કોરોના કાળમાં શરૂ થઇ સફર
મિથિલેશ ખાંડવાલાએ જણાવ્યું કે, "ધોરણ 5માં હતો ત્યારથી જ મને ગીતાના શ્લોકો અને વાર્તાઓ સાંભળીને જિજ્ઞાસા જાગી હતી. કોવિડ-19 રોગચાળા દરમિયાન જ્યારે અમે ઘરમાં હતા, ત્યારે મેં અને મારા પિતાએ મહાભારાત સિરીઝ જોઇ હતી. આ દરમિયાના શાળાના શિક્ષક સોનલબેન દ્વારા ભગવદ્ ગીતાના ઓનલાઇન ક્લાસ શરૂ કરાયા હતા, જેનાથી મારો રસ વધુ ઊંડો થયો. મેં ગીતાના ઉપદેશોને આજના રોજિંદા જીવન સાથે સરખાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કોરોના કાળથી જ આ 150 પેજનું પુસ્તક લખવાની શરૂઆત કરી, જેને પૂર્ણ કરતા અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો."
"મને આજે ખૂબ ખુશી છે કે મારી પુસ્તક 'બંસી'નું લોકાર્પણ થયું છે. આ પુસ્તકમાં ભગવદ્ ગીતાનું ખૂબ જ સરળ અને નમ્ર અર્થઘટન કરવામાં આવ્યું છે અને આજની જનરેશનને પણ આ પુસ્તક ગમશે." મિથિલેશ ખાંડવાલા, યુવા લેખક.
BAPSના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ મિથિલેશે ગીતાના જ્ઞાનને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. તેણે "ભગવદ્ ગીતા: ભારતની આધ્યાત્મિક વિરાસત" નામની એક અનોખી પહેલ પણ શરૂ કરી છે. આ અંતર્ગત તે નાના વિદ્યાર્થીઓ માટે સેશન પણ યોજે છે.
પુસ્તકની કમાણી સારા કામમાં વપરાશે
માત્ર 16 વર્ષની નાની ઉંમરે મિથિલેશે જાહેરાત કરી હતી કે, આ પુસ્તકના વેચાણમાંથી જે પણ આવક કે પૈસા મળશે તેનો ઉપયોગ તે ભારતની સરહદ પર આવેલા ગામડાઓના ગરીબ બાળકોના શિક્ષણ માટે કરશે.

પિતાએ વ્યક્ત કર્યો ગર્વ
મિથિલેશના પિતા જનક ખાંડવાલાએ ભાવુક થતાં જણાવ્યું હતું કે, "અમને અમારા દીકરા પર ખૂબ જ ગર્વ છે કે તેણે આટલી નાની ઉંમરે આવું અદ્ભુત પુસ્તક લખ્યું છે. લોકડાઉનમાં શરૂ થયેલી તેની આ રુચિ આજે પુસ્તક સ્વરૂપે લોકો સામે આવી છે."
આ પણ વાંચો:

