તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા 'સુંદર' ફલાવર શોની મુલાકાતે, ફ્લાવર શો વિશે તેમણે કહ્યું...
તેમણે ETV ભારત સંવાદદાતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે શું કહ્યું, ચાલો જાણીએ વિગતે...

Published : December 31, 2025 at 7:16 PM IST
અમદાવાદ : શહેરમાં આવતીકાલથી ફ્લાવર શોને ખુલ્લો મુકવામાં આવશે. આ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં 'ભારતની ગાથા થીમ' રાખવામાં આવી છે. જેમાં 10 લાખથી વધારે છોડ જોવા મળશે. 22 દિવસ સુધી આ ફલાવશો ચાલશે, આશરે 13000 સ્ક્વેર મીટર વિસ્તારમાં આ ફ્લાવર શો બનાવવામાં આવ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા 'સુંદર' જેમનું સાચું નામ મયુર વાકાણી છે. તેમણે આજે અમદાવાદ ઇન્ટરનેશનલ ફલાવર શોની મુલાકાત લીધી હતી, તે દરમિયાન તેમણે ETV ભારત સંવાદદાતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે શું કહ્યું, ચાલો જાણીએ વિગતે...
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા 'સુંદર' ફલાવર શોની મુલાકાતે
મયુર વાકાણીએ જણાવ્યું હતું કે, "માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ભારતીય સંસ્કૃતિ તરફ લોકોની જાગૃતિ વધે લોકો સાંસ્કૃતિક તરફ પાછા વળે, અને ભારતીય સંસ્કૃતિ વિશે લોકો નજીકથી જાણે એવી વાત મોદીજીએ કરી છે. આ હાર્દ પકડીને ભારત એક ગાથા એવી અદભુત થીમ સાથે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતનું વૈભવ, ભારતની ગાથા એમ ભવિષ્યને એક સૂરમાં રાખીને આ અદભુત ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી સમગ્ર નગરજનો માટે આ ફલાવર શો ખુલ્લો મુકવામાં આવશે. બધા જ અમદાવાદીઓ ફલાવર શોની રાહ જોતા હોય છે."

ફલાવર શો આવ વખતે આ થીમ હશે
તેમણે વધુમાં જણાવ્યું કે, "ફ્લાવર શોની અંદર શરૂઆતમાં 20 ફૂટથી ઉંચા એશિયાટીક લાયન બનાવવામાં આવ્યું છે. કમળનું ફાઉન્ટેન એન્ટ્રીગેટ પાસે છે. ભારત એક ગાથાની ડિઝાઇન છે. ભારતના તહેવારો, ભારતનો અદભુત વારસો, ઉતરાયણ, દિવાળી હોળી એમ વિવિધ તહેવારો આ ફલાવર શોમાં દેખાશે. આ ફલાવર શોમાં કલ્ચરલ ડાન્સીસનું એક ઝોન બનાવવામાં આવ્યું છે.

જેમાં ભારતના વિવિધ સાંસ્કૃતિક નૃત્યોની ડિઝાઇન બનાવવામાં આવી છે. સમુદ્ર મંથન, રામસેતુની વાત, એવા પૌરાણિક વિષયો પર ફૂલોના સ્ટેચ્યુ અને ડિઝાઇન બનાવવામાં આવી છે, તેની સાથે કોમનવેલ્થ ગેમ્સ, સ્પોર્ટ્સની ઝાંખી, એજ્યુકેશન સંબંધિત વિવિધ ડિઝાઇન, અને છેલ્લે બુલેટ ટ્રેન પણ બનાવવામાં આવી છે. આમ જેની અંદર ભવ્ય આપણો વારસો સમાયેલો છે, ઉજ્જવળ ભવિષ્ય પણ નજર આવી રહ્યું છે."

ફલાવર શોમાં QR કોડ દ્વારા ફુલો વિશેની માહીતી
તેમણે વધુ જણાવ્યું હતું કે, આ ફ્લાવર શોને બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બગીચા વિભાગ, જુદા જુદા કલાકારો અને આર્કિટેક દ્વારા બહુ મહેનત કરવામાં આવી છે. છેલ્લા 2 મહિનાથી આનું કામ ચાલુ છે, તેની સાથે આ ફ્લાવર શોમાં QR કોડ પણ છે. જેનાથી ફલાવર શોના ફૂલ અને એની તમામ વિગતો જાણી શકાશે.
આ પણ વાંચો...

