સુરતના અરેઠ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા નહેરના પાણીની ચોરીનો મોટો મામલો સામે આવ્યો
ઔદ્યોગિક એકમો દ્વારા નહેરમાં પમ્પ મૂકી પાણી ખેંચવામાં આવતું હતું, સિંચાઈ વિભાગે કરી કાર્યવાહી

Published : May 19, 2026 at 10:40 PM IST
સુરત: જિલ્લાના અરેઠ વિસ્તારમાં નહેરના પાણીની ચોરીનો મોટો મામલો સામે આવ્યો છે. કરંજ-વાલેસા માઇનોર કેનાલ પરથી ગેરકાયદેસર રીતે પાણી ખેેચવા માટે મૂકવામાં આવેલી મોટરો અને પાઈપલાઈનને સિંચાઈ વિભાગે દૂર કરી કબ્જે લીધી છે.
ખેડૂતોના આક્ષેપ મુજબ કેટલાક ઔદ્યોગિક એકમો અને રહેણાંક કોલોનીઓ દ્વારા નહેરમાં સબમરસીબલ પંપ મૂકી પાણીની ચોરી કરવામાં આવતી હતી, જેના કારણે છેવાડાના ખેડૂતો સુધી પૂરતું સિંચાઈનું પાણી પહોંચતું નહોતું. છેલ્લા બે થી ત્રણ વર્ષથી ખેડૂતો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. કરંજ ગામના જાગૃત નાગરિક દ્વારા નહેર ખાતાને જાણ કરાતા તડકેશ્વર સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું અને કાર્યવાહી હાથ ધરી હતી.
અરેઠ નજીકની કરંજ-વાલેસા માઇનોર કેનાલ પર સિંચાઈ વિભાગે ખાસ ડ્રાઈવ હાથ ધરી ગેરકાયદેસર પાણી કનેક્શન કાપી નાખ્યા હતા. વિભાગે સ્થળ પરથી આશરે દસ જેટલી સબમરસીબલ પંપ મોટરો કબ્જે કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક ઉદ્યોગકારો તેમજ રહેણાંક કોલોની ધારકો દ્વારા નહેરમાં મોટર નાખી સીધું પાણી ખેંચવામાં આવતું હતું. જેના કારણે નહેરના છેવાડે આવેલા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતો જથ્થો મળતો નહોતો અને ખેતી પર ગંભીર અસર પડી રહી હતી.
ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થતી નહોતી, પરંતુ સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા મામલો નહેર ખાતાના ધ્યાન પર લાવવામાં આવતા અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સિંચાઈ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે નહેરમાંથી ગેરકાયદેસર રીતે પાણી લેતા લોકો સામે કડક પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો:

