અમદાવાદમાં પાંચ વર્ષમાં 3.41 લાખ રખડતા કૂતરાં કરડવાના કેસ નોંધાયા, જાણો ખસીકરણ પાછળ કેટલો ખર્ચ થયો?
અમદાવાદમાં રખડતા શ્વાન સામે કાર્યવાહી માત્ર કાગળ પર જોવા મળતી હોવાનો AMC બોર્ડ બેઠકમાં વિપક્ષના નેતાનો આરોપ.

Published : February 25, 2026 at 9:34 AM IST
અમદાવાદ: અમદાવાદમાં પાંચ વર્ષમાં રખડતા કૂતરાં કરડવાના 3.41 લાખ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) બોર્ડ બેઠકમાં વિપક્ષના નેતાએ આ સવાલ ઉઠાવ્યો હતો. વિપક્ષના નેતાએ અમદાવાદમાં રખડતા શ્વાન કરડવાની રોજની 184 ફરિયાદ નોંધાતી હોવાની રજૂઆત કરી આ બાબતને ગંભીરતાથી લેવા માટે કહ્યું હતું. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કૂતરાંઓના ખસીકરણ પાછલ પાંચ વર્ષમાં 13.46 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હોવાની માહિતી આપી હતી અને આગામી દિવસોમાં ડૉગ શેલ્ટર હોમ બનાવવાની જાહેરાત પણ કરી હતી.
અમદાવાદમાં પાંચ વર્ષમાં શ્વાન કરડવાના 3.41 લાખ કેસ નોંધાયા
અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, "અમદાવાદ શહેરમાં કોમનવેલ્થની મોટી મોટી વાતો થાય છે, શહેરને સ્માર્ટ કહેવામાં આવે છે પણ સ્ટ્રીટ ડોગને લઇને કોઇ કામગીરી કરવામાં આવતી નથી. રખડતા શ્વાનને કારણે અમદાવાદીઓ પરેશાન છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં રખડતા શ્વાન કરડવાના 3.41 લાખ કેસ નોંધાયા છે. પાંચ વર્ષમાં રખડતા શ્વાનના ખસીકરણ પાછળ 13.46 કરોડ રૂપિયાનો ખર્ચ થતા ડોગ બાઇટના કેસ ઓછા થયા નથી. રોજના 184 કેસ AMCના ચોપડે નોંધાઇ રહ્યા છે...સ્ટ્રીટ ડોગ પાછળ ખર્ચ થાય છે પણ કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળે છે."
વિપક્ષના આરોપો પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જવાબ આપ્યો હતો. દેવાંગ દાણીએ કહ્યું કે, "રખડતા શ્વાનને કંટ્રોલ કરવા માટે ખર્ચ કરવામાં આવે છે. કોઇને શ્વાન કરડે અને હડકવા ના થાય તે માટે ખસીકરણ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇનના નિયમ પ્રમાણે જ કામ થઇ રહ્યું છે. જ્યારે કોઇ શ્વાન એગ્રેસિવ હોય ત્યારે AMC આગામી સમયમાં ડોગ શેલ્ટર હોમ બનાવશે અને તેમાં શ્વાનને 15 દિવસ સુધી રાખવામાં આવશે. કોઇ વ્યક્તિને હડકવા ના થાય તે માટે પહેલા એક ઝોનની અંદર જ ડૉગની રસી આપવામાં આવતી હતી પણ હવે દરેક વોર્ડની અંદર, દરેક અર્બન સેન્ટરની અંદર હડકવાની રસી આપવામાં આવે છે.

આ પણ વાંચો:

