સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 15 જુલાઈએ 254મી રથયાત્રા: ચાંદી-પિત્તળના રથની મરામત શરૂ
રથયાત્રામાં ભગવાન રણછોડરાયજી ચાંદી અને પિત્તળના રથ પર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. આ વર્ષે યાત્રાધામ ડાકોર ખાતે 254મી રથયાત્રા યોજાશે.

Published : July 8, 2026 at 5:50 PM IST
ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ધામધૂમથી યોજાનાર રથયાત્રાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં યોજાતી રથયાત્રા 15 જુલાઈના રોજ યોજાવાની છે. હવે ગણતરીના દિવસો બાકી હોવાથી મંદિર તરફથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
રથયાત્રામાં ભગવાન રણછોડરાયજી ચાંદી અને પિત્તળના રથ પર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. આ વર્ષે યાત્રાધામ ડાકોર ખાતે 254મી રથયાત્રા યોજાશે.
રથની મરામતનું કામ ચાલુ
મંદિર કમિટી દ્વારા રથયાત્રાની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. ભગવાન બિરાજમાન થનાર ચાંદી અને પિત્તળના રથની મરામતનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામગીરી ઈન્દ્રવદનભાઈ સુથારની આગેવાની હેઠળ પાંચ જેટલા કારીગરોની ટીમ કરી રહી છે. સાથે જ રથયાત્રાના માર્ગની સાફ-સફાઈ સહિતની અન્ય તમામ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે.

પુષ્ય નક્ષત્રમાં પરંપરાગત રથયાત્રા
ડાકોરમાં પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં જ રથયાત્રા યોજાય છે. ભગવાન રણછોડરાયજી મંદિરમાંથી મંગળા આરતી સહિતના પારંપરિક વિધિ-વિધાન બાદ ચાંદીના રથમાં બિરાજમાન થઈને નગરયાત્રાએ નીકળે છે અને નિયત રૂટ પરથી પરત મંદિરે આવે છે. પરત આવ્યા બાદ ઈંડી-પિંડી કરીને ભગવાનની નજર ઉતારવામાં આવે છે.

રથયાત્રામાં ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભક્તો જોડાય છે. આ પ્રસંગે ફણગાવેલા મગ, જાંબુ અને કેરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે: મેનેજર
ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર રાકેશભાઈ દવેે જણાવ્યું હતું કે, "ચાલુ વર્ષે ૨૫૪મી રથયાત્રા 15 જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં યોજાવાની છે. મંદિર તરફથી રથના સમારકામની કામગીરી ચાલી રહી છે. પાંચ જેટલા કાર્યકરો આ કામમાં જોડાયેલા છે. સાફ-સફાઈ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે."

રથને તૈયાર કરાઈ રહ્યો છે: ઈન્દ્રવદનભાઈ સુથાર
રથનું સમારકામ કરતા ઈન્દ્રવદનભાઈ સુથારે જણાવ્યું, "રથયાત્રા 15 તારીખે છે તે પહેલાં 15 થી 20 દિવસ અગાઉ રથનું મેન્ટેનન્સ, સ્પેરપાર્ટ્સની રિપેર, સર્વિસ અને ફીટિંગનું કામ કરવામાં આવે છે. મારી સાથે ચારથી પાંચ વ્યક્તિ મદદમાં છે. અમે સૌ આનંદ અને ઉમંગથી આ કામ કરીએ છીએ. ચાંદીનો, પિત્તળનો રથ તથા સોને મઢેલી ખુરશી છે."


