અધધ 10 કિલોની દૂધી... કેશોદના ખેડૂત ભરતભાઈએ પ્રયોગરૂપે કર્યું 15 જાતની દૂધીનું વાવેતર
કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડૂત ભરત પટેલ અલગ અલગ રાજ્યોમાંથી દૂધીનું બિયારણ લાવ્યા છે, વાંચો આ અહેવાલમાં...

Published : December 23, 2025 at 12:53 PM IST
જૂનાગઢ : 8 થી 10 કિલો વજન અને બે થી ત્રણ ફૂટ લાંબી "દૂધી" વાંચીને નવાઈ ચોક્કસ લાગશે, પરંતુ આ હકીકત છે. કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડૂત ભરત પટેલે પોતાના ખેતરમાં બિયારણનું ઉત્પાદન થાય તે માટે ભારતના અલગ અલગ રાજ્યોમાં થતી દૂધીનું અખતરારૂપે વાવેતર કર્યું છે. હાલ તેમની પાસે 14 કે 15 જાતની અલગ અલગ દૂધીનું વાવેતર અને બિયારણ છે. કેટલીક દૂધીનું વજન તો 8 થી 10 કિલો સુધી છે.
અધધ 10 કિલોની દૂધી...
કેશોદ તાલુકાના ટીટોડી ગામના પ્રગતિશીલ ખેડૂત ભરત પટેલ પ્રાકૃતિક ખેતી અને દેશી જાતના બિયારણનો શોખ ધરાવે છે. તેઓ ભારતના 25 કરતાં વધારે રાજ્યોમાં આયોજિત કૃષિ પ્રદર્શનનો અને વિવિધ શાકભાજીના બિયારણ અંગેના જાહેર પ્રદર્શનમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. ભરત પટેલે તેમના ખેતરમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં થતી 14 થી 15 પ્રકારની દૂધીનું અખતરારૂપે વાવેતર કર્યું છે.

અલગ અલગ રાજ્યની 15 જેટલી વિવિધ જાત

સામાન્ય રીતે આપણે જે દૂધી જોઈએ છીએ તેનો આકાર, કદ અને વજન કરતાં લગભગ 10 ગણો વજન ધરાવતી દૂધી ભરતભાઈના ખેતરમાં છે. આ દૂધી લગભગ 8 થી 10 કિલો વજન અને અઢીથી ત્રણ ફૂટ લાંબી હોય છે. અલગ અલગ રાજ્યમાં થતી વિવિધ પ્રકાર, કદ અને લંબાઈ સહિત ખૂબ જ વિભિન્નતા ધરાવતી આવી દેશી જાતની દૂધીનું બિયારણ તૈયાર થાય તે માટે પ્રગતિશીલ ખેડૂત ભરત પટેલ કામ કરી રહ્યા છે.

વિવિધ રાજ્યના પ્રવાસ દરમિયાન મળ્યું બિયારણ

સરકાર દ્વારા આયોજિત વિવિધ કૃષિ પ્રદર્શનમાં 25 કરતા વધારે રાજ્યોની કૃષિ પેદાશો, અલગ અલગ સમયે અને વર્ષ દરમિયાન તૈયાર થતા પાક અને શાકભાજીનુ પ્રદર્શન કરવામાં આવે છે. આવા પ્રદર્શનોમાં ભરત પટેલે ભાગ લઈને અલગ અલગ રાજ્યોના બિયારણ મેળવીને આ પ્રકારે દૂધીનું પ્રયોગરૂપે વાવેતર કર્યું છે. તમિલનાડુમાં ઉગતી દૂધી ગુજરાતના વાતાવરણમાં કઈ રીતે થઈ શકે? બિયારણ થકી તમિલનાડુની દૂધી જૂનાગઢ જિલ્લામાં વાવી શકાય કે કેમ અને તેના ઉત્પાદન અને બિયારણમાં કેવા પ્રકારની અનુકૂળતા કે પ્રતિકૂળતા જોવા મળે છે, જેવા વિવિધ પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

અન્ય ખેડૂતોને પણ બિયારણ આપ્યું : ઉત્પાદિત થયેલ દૂધીના બિયારણ ભરત પટેલ ખેડૂતો અને સામાન્ય લોકોને માનદ સેવાના ભાગરૂપે આપી રહ્યા છે. તેની પાછળનું એકમાત્ર કારણ એ પણ છે કે દેશી જાતની દૂધી કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થતી હોય તે દૂધી આપણે ત્યાં પણ ખેડૂતો ખેતી કરે તો થઈ શકે છે. તેવા પ્રયત્નો ખેડૂતો અને એવા લોકો કરે કે જેની પાસે શાકભાજીનું વાવેતર કરી શકાય તેટલી થોડી જમીન છે, જેથી દેશી પ્રકારની આ શાકભાજીને લુપ્ત થતી બચાવી શકાય.
આ પણ વાંચો...

