નવસારીની દીકરીનો રાષ્ટ્રીય ટીમ સુધીનો સફર, મૈત્રી મણિયારની U-19 ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી
નવસારીની ક્રિકેટર મૈત્રી મણિયારની ભારતીય U-19 મહિલા ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી થતાં સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી, આગામી શ્રીલંકા પ્રવાસ દરમિયાન મૈત્રી ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Published : June 16, 2026 at 4:58 PM IST
નવસારી : નવસારીની એક સામાન્ય દીકરીએ પોતાની અસાધારણ મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેના સમર્પણના બળે આજે સમગ્ર શહેરનું ગૌરવ વધાર્યું છે. નવસારીની યુવા ક્રિકેટર મૈત્રી મણિયારની ભારતીય U-19 મહિલા ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પસંદગી થતાં સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આગામી શ્રીલંકા પ્રવાસ દરમિયાન મૈત્રી ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે.
મૈત્રીની ક્રિકેટ યાત્રા પણ ખૂબ જ પ્રેરણાદાયી રહી છે. મૈત્રીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તે બેડમિન્ટન રમતી હતી, પરંતુ માતાના માર્ગદર્શન બાદ તેણે ક્રિકેટ તરફ વળવાનું નક્કી કર્યું. લગભગ સાત વર્ષ પહેલાં તેણે નવસારીની એસ.એસ. અગ્રવાલ ક્રિકેટ એકેડમીમાં કોચ કાંતિલાલ પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ શરૂ કરી હતી. એકેડમીમાં અન્ય ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે રમતા જોઈ મૈત્રીના મનમાં પણ ભારતીય ટીમ સુધી પહોંચવાનું સપનું જાગ્યું અને ત્યારથી તેણે અભ્યાસ સાથે ક્રિકેટને જીવનનો મહત્વનો ભાગ બનાવી દીધો.
મૈત્રીએ માત્ર બેટિંગ કે બોલિંગ પૂરતું જ પોતાને સીમિત રાખ્યું નહીં, પરંતુ એક સફળ ઓલરાઉન્ડર બનવા માટે સતત મહેનત કરી. લેફ્ટ આર્મ સ્પિનર તરીકેની તેની બોલિંગ, જવાબદાર બેટિંગ અને ખાસ કરીને તેની ચુસ્ત ફિલ્ડિંગ તેની ઓળખ બની છે. વરસાદ હોય કે કડકડતી ઠંડી, મૈત્રીએ પોતાની ફિલ્ડિંગ કૌશલ્ય સુધારવા માટે સતત પ્રેક્ટિસ કરી છે.

ત્રણ વર્ષ પહેલાં બરોડા ક્રિકેટ એકેડમીએ તેની પ્રતિભાને ઓળખી તેને વડોદરા બોલાવી હતી. પરિવાર માટે આર્થિક અને સામાજિક પડકારો હોવા છતાં મૈત્રીની માતાએ દીકરીના સપનાને પ્રાથમિકતા આપી અને તેની સાથે વડોદરામાં ભાડાના મકાનમાં રહીને તેને જરૂરી સહયોગ આપ્યો. આ ત્યાગ અને સંઘર્ષનું પરિણામ આજે સમગ્ર દેશ જોઈ રહ્યો છે.

મૈત્રીની સિદ્ધિથી નવસારીની એસ.એસ. અગ્રવાલ ક્રિકેટ એકેડમી અને કોચ કાંતિલાલ પટેલ ગર્વ અનુભવી રહ્યા છે. એકેડમી દ્વારા મૈત્રીનું સન્માન કરવામાં આવ્યું અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

નવસારી જેવા શહેરમાંથી અનેક દીકરીઓ ક્રિકેટમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે, પરંતુ મૈત્રી મણિયારની ભારતીય U-19 ટીમમાં પસંદગી માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર નવસારી માટે ગૌરવની ક્ષણ બની છે. હવે સૌની નજર શ્રીલંકા પ્રવાસ પર છે, જ્યાં મૈત્રી પોતાના પ્રદર્શનથી ભારત અને નવસારીનું નામ વધુ રોશન કરવાની આશા સાથે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો...

