ETV Bharat / spiritual

આવતીકાલ 16 ડિસેમ્બરથી ધનારક કમુરતા શરૂ, એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્ય પર લાગશે બ્રેક

આવતીકાલ 16 ડિસેમ્બરથી સૂર્યનું ધનુ રાશિમાં ગોચર શરૂ થશે, તેથી એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્ય કરી શકાશે નહીં.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 15, 2025 at 9:29 AM IST

|

Updated : December 15, 2025 at 9:42 AM IST

3 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: આવતી કાલથી 16 ડિસેમ્બરથી કમુરતા શરૂ થઈ રહ્યા છે. 16 ડિસેમ્બર મંગળવારથી લઈને જ્યારે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને 14મી જાન્યુઆરી 2026 બુધવારના દિવસે સૂર્ય ફરી મકર રાશિમાં સંક્રાંતિ સાથે આવશે ત્યારે કમુરતાનો આ એક મહિનાનો સમય પૂર્ણ થશે.

સનાતન ધર્મ અને હિન્દુ પંચાંગ અનુસાર કમુરતાના આ સમયમાં શુભ અને માંગલિક કાર્યો ન થઈ શકે તેવી એક પરંપરા છે, પરંતુ આ એક મહિના દરમિયાન ધાર્મિક કાર્યો થઈ શકે છે.

આવતીકાલ 16 ડિસેમ્બરથી ધનારક કમુરતા શરૂ (Etv Bharat Gujarat)

ધનારક કમુરતા થશે શરૂ

સનાતન ધર્મ અને હિન્દુ પંચાંગ દિવસ અને રાત્રિના ચોઘડિયા અને રાશિ પર ખૂબ જ નિર્ભર હોય છે, ત્યારે ગ્રહોના રાજા સૂર્યા 16મી ડિસેમ્બર અને મંગળવારથી વૃશ્ચિક રાશિમાંથી તેનુ ભ્રમણ પૂર્ણ કરીને ધનુ રાશિમાં આવી રહ્યા છે. સૂર્યનું વૃશ્ચિક રાશીમાંથી ધનુ રાશિમાં આવવાની આ પ્રક્રિયાને ધનુ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવતી કાલથી સૂર્ય ધનુ રાશીના લગ્ન ભાવમાં ગોચર કરશે અને આ સ્થિતિમાં સૂર્ય એક મહિના સુધી ત્યાં રહેશે. જેને કમુરતા તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય, ધનુ અને મીન રાશિમાં પ્રવેશ કરે છે. જેથી ગુરુનો પ્રભાવ પણ એકદમ ઓછો થાય છે, તો બીજી તરફ ગુરુને શુભ ઘટનાઓના કારક તરીકે માનવામાં આવે છે. જેથી લગ્ન માટે શુક્ર અને ગુરુ બંનેનો ઉદય એકદમ જરૂરી માનવામાં આવે છે, જો ગુરુ અને શુક્ર બંને ગ્રહમાંથી કોઈ એક ગ્રહનો પ્રભાવ ઓછો હોય તો આવી સ્થિતિમાં શુભ અને માંગલિક કાર્યો થઈ શકતા નથી.

એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્ય કરી શકાશે નહીં
એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્ય કરી શકાશે નહીં (Etv Bharat Gujarat)

શુભ અને માંગલિક કાર્યો પર લાગશે બ્રેક

જ્યોતિષ અને સનાતન ધર્મમાં ધનુર માસ દરમિયાન કેટલાક શુભ કાર્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમય દરમિયાન માર્ગશીર્ષ અને પોસ મહિનાની વચ્ચે આવે છે. વધુમા ચાર મહિનાના લાંબા ચતુર્માસ દેવઉઠી એકાદશી સાથે સમાપ્ત થયા હતા. જેથી લગ્ન જેવા શુભ કાર્યોની શરૂઆત થઈ હતી, પરંતુ આવતી કાલથી ફરી એક વખત ધનારક કમુરતા શરૂ થતા શુભ અને માંગલિક કાર્યો મોટે ભાગે બંધ થતા જોવા મળતા હોય છે, પરંતુ આ સમય દરમિયાન ધાર્મિક કાર્યો થઈ શકે છે.

ધનારક કમુરતા થઈ શકે તેવા કાર્યોની વિગતો

ધનારક કમુર્તા દરમિયાન ભગવાન સૂર્યની પૂજા અને આરાધના થઈ શકે છે. આ સમય દરમિયાન પવિત્ર સ્થળો અને સરોવરોમાં સ્નાન કરવાની સાથે દીપક પ્રજીવલી કરીને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી ચીજ વસ્તુઓનું દાન કરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે, અને દાન કરનાર વ્યક્તિને કાર્ય સફળતા મળતી હોય છે. ધનારક કે કમુરતાના સમયમાં શાસ્ત્રોક્ત વિધિમાં દર્શાવ્યા અનુસાર પ્રત્યેક વ્યક્તિએ નવા કપડા પહેરવાની સાથે ઉપનયન અને નામકરણ વિધિ પણ કરી શકે છે. નવા રત્નો ધારણ કરવા અને કર્ણ વેધ જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિ પણ એકદમ સરળતાથી ધનારક કમુરતામાં થઈ શકે છે. આ સમય દરમિયાન મુસાફરીની તારીખ કમુરતા શરૂ થતા પૂર્વે જ નિર્ધારિત થઈ હોય તો મુસાફરીને પણ શુભ માનવામાં આવે છે. વધુમાં આ એક મહિના દરમિયાન પૂજા પાઠ ઉપાસના અને સારા ગ્રંથોનું વાંચન કરવાને પણ એકદમ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે.

ધનારક કમુરતામાં ન કરવા જેવા કામો

ધનારક કમુરતામાં ધાર્મિક શાસ્ત્રોમાં ઉલ્લેખ થયા અનુસાર તામસી માંસાહારી અને નશાકારક ખોરાક કે પીણાનું સેવન ન કરવું જોઈએ. આ સમય દરમિયાન દરરોજ ત્રાંબાના વાસણમાં સંગ્રહિત દૂધ અને પાણી પીવાને પણ અશુભ અને હાનિકારક માનવામાં આવે છે. આ સમય દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માગતા હોય તો તેમણે ધનારક કમુરતા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

ધનારક કમુરતામાં કરવામાં આવતા ઉપાયો

ધનાક કમુરતામાં એક મહિના દરમિયાન જપ ધ્યાન અને દાનના ઘણા ફાયદા સનાતન ધર્મના શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે, તે મુજબ આ સમય દરમિયાન કરવામાં આવેલા પુણ્ય કાર્યોનો લાભ જીવનભર મળતો હોય છે. આ મહિનામાં તુલસી અને પીપળાના વૃક્ષોની પૂજા ગાયની સેવા સૂર્યની પૂજા ભગવાન વિષ્ણુના નામનો મંત્ર જાપ અને ભાગવત ગીતા રામચરિતમાનસ અને સત્યનારાયણજીનો પાઠ કરવામાં આવે તો પણ તેને એકદમ શુભ ફળદાયી માનવામાં આવે છે.

  1. ખરમાસમાં આ 3 રાશિના જાતકોના જીવનમાં વધી શકે છે મુશ્કેલી, ધન અને કરિયર પર અસર!
  2. 2026માં શનિદેવ આ રાશિઓ પર વિનાશ વેરશે, સાડા સાતીની અસર શરૂ થશે, જાણો ઉપાયો
Last Updated : December 15, 2025 at 9:42 AM IST