હોળી 2026: શું તમે જાણો છો હોલિકા દહનની સાચી વાર્તા? પ્રહલાદ, રાધા-કૃષ્ણ અને કામદેવની પૌરાણિક કથાઓ
રંગો, ઉમંગ અને ખુશીઓનો તહેવાર હોળી હવે થોડા જ દિવસો દૂર છે, આ વર્ષે હોળીનો તહેવાર 4 માર્ચ ના રોજ ઉજવાશે

Published : February 27, 2026 at 6:42 PM IST
રંગો, ઉમંગ અને ખુશીઓનો તહેવાર હોળી હવે થોડા જ દિવસો દૂર છે. આ વર્ષે હોળીનો તહેવાર 4 માર્ચ ના રોજ ઉજવાશે. દીવાળી પછી દેશમાં સૌથી વધુ ધામધૂમથી ઉજવાતા આ તહેવારને લઈને આખું ભારત ઉત્સાહિત છે. હોળી માત્ર વસંત ઋતુના આગમનનો જ પ્રતીક નથી, પરંતુ તે બુરાઈ પર સારાઈની જીત અને પ્રેમ તથા એકતાના ઉત્સવ તરીકે પણ ઉજવાય છે. દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂનમના દિવસે આવતા આ તહેવારને હોળી ઉપરાંત 'કામની પૂનમ', 'હોલિકોત્સવ', 'ફગુઆ', બંગાળમાં 'દોલ જાત્રા', મહારાષ્ટ્રમાં 'શિમગા' જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે.
હોળીના ઉત્સવ સાથે અનેક પૌરાણિક કથાઓ અને દંતકથાઓ જોડાયેલી છે, જે આ તહેવારની મહત્તાને વધારે છે.
પ્રહલાદ અને હોલિકાની કથા:
આ દંતકથા ભગવાન વિષ્ણુ પ્રત્યેની અતૂટ ભક્તિના વિજયનું પ્રતીક છે. હિરણ્યકશિપુ, જેને રાક્ષસોના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિરણ્યકશિપુ વન પર શાસન કરતો હતો. તેનો એક પુત્ર પ્રહલાદ હતો, જે સતત ભગવાન વિષ્ણુનું નામ જપતો હતો. જોકે, હિરણ્યકશિપુને આ ગમ્યું નહીં અને તેણે તેને મારવાનું નક્કી કર્યું. આમ કરવા માટે, તેણે તેની રાક્ષસી બહેન હોલિકાને બોલાવી અને પ્રહલાદને બાળી નાખવા માટે તેની શક્તિઓનો ઉપયોગ કરવા કહ્યું. પ્રહલાદને ખોળામાં લઈને હોલિકા અગ્નિમાં કૂદી પડી. હિરણ્યકશિપુની બહેન હોલિકાને અગ્નિથી અભેદ્યતાનું વરદાન મળ્યું હતું. જોકે, જ્યારે તે શ્રદ્ધાળુ પ્રહલાદને બાળી નાખવાના ઇરાદાથી અગ્નિમાં બેઠી, ત્યારે વિષ્ણુની શક્તિથી પ્રહલાદ બચી ગયો, અને હોલિકા રાખ થઈ ગઈ. ત્યારથી હોળી ઉજવવામાં આવે છે. હોલિકા દહન, જેને "છોટી હોળી" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રંગોની મુખ્ય હોળીની આગલી રાત્રે ઉજવવામાં આવે છે, જે અનિષ્ટ પર સારાના વિજયનું પ્રતીક છે.
રાધા-કૃષ્ણની ફૂલોની હોળી:
બ્રજની હોળી તો વિશ્વ વિખ્યાત છે. એવી માન્યતા છે કે એક વખત ભગવાન કૃષ્ણ લાંબા સમય સુધી રાધાજીથી દૂર રહ્યા, જેના કારણે રાધા અને ગોપીઓ દુઃખી થઈ ગઈ અને પ્રકૃતિ પણ સુકાઈ ગઈ. પોતાની ભૂલનો અહેસાસ થતાં કૃષ્ણ રાધા પાસે ગયા. રાધાને મળીને કૃષ્ણે પ્રેમથી ફૂલ ફેંક્યું અને રાધાએ પણ પ્રત્યુત્તરમાં ફૂલો વરસાવ્યાં. આ જોઈને ગોપીઓએ પણ એકબીજા પર ફૂલોની વર્ષા કરી. દ્વાપર યુગથી ચાલી આવતી આ પરંપરા પ્રેમ, ભક્તિ અને પ્રાકૃતિક રંગોના ઉત્સવ તરીકે ઉજવાય છે.
ભગવાન શિવ અને કામદેવની કથા:
દક્ષિણ ભારતમાં હોળીને મુખ્યત્વે 'કામ-દહન' અથવા 'કામવિલાસ' તરીકે ઉજવવામાં આવે છે. સતીના મૃત્યુ પછી ભગવાન શિવ ગહન ધ્યાનમાં લીન થઈ ગયા. દેવી પાર્વતીએ શિવને પ્રસન્ન કરવા કામદેવની મદદ લીધી. કામદેવે શિવ પર પોતાના પ્રેમબાણનો પ્રહાર કર્યો, જેના કારણે શિવનો ધ્યાન ભંગ થયો અને તેમણે ગુસ્સામાં પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે જ ભગવાન શિવે કામદેવનો અંત કર્યો હતો.
રાજા રઘુની કથા:
ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને સત્યયુગના રાજા રઘુની એક કથા સંભળાવી હતી. રાજા રઘુના રાજ્યમાં 'ધોંડા' નામની રાક્ષસી નાના બાળકોને હેરાન કરતી હતી. ગુરુ વશિષ્ઠના કહેવાથી ગામના બાળકોએ તે રાક્ષસીની માટીની પ્રતિમા બનાવી અને તેની આસપાસ લાકડા અને ઘાસ મૂકી તેને અગ્નિ દીધો. જેમ પ્રતિમા બળી તેમ તે રાક્ષસી પણ ખતમ થઈ ગઈ, અને લોકોએ ખુશીમાં હોળીનો તહેવાર ઉજવ્યો.
(નોંધ: ધાર્મિક માન્યતાઓ વ્યક્તિગત છે. આ માહિતી જ્યોતિષ અને પૌરાણિક કથાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે. ETV ભારત કોઈપણ રીતે આ માટે જવાબદાર નથી. જો તમને કોઈ પ્રશ્નો હોય, તો નિષ્ણાતની સલાહ લો.)
આ પણ વાંચો:
Holi 2023 : દેશના વિવિધ રાજ્યોમાં આ રીતે ઉજવવામાં આવે છે હોળી, જાણો ખાસ રીતો

