હિઝબુલ્લાહે ઉત્તરી ઇઝરાયલી શહેર પર રોકેટ હુમલો કર્યાનો દાવો કર્યો

Published : May 30, 2026 at 7:18 AM IST
|Updated : May 30, 2026 at 2:38 PM IST
US Israel iran war: CNNના અહેવાલ મુજબ, શુક્રવારે સિચ્યુએશન રૂમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે થયેલી બેઠક બાદ વ્હાઇટ હાઉસે કોઈ નિર્ણય જાહેર કર્યો ન્હોતો, જોકે રાષ્ટ્રપતિએ અગાઉ સંકેત આપ્યો હતો કે આ ચર્ચા દ્વારા તેમને ઈરાન સંબંધિત મુદ્દાઓ પર "અંતિમ નિર્ણય" લેવામાં મદદ મળશે.
બેઠક બાદ જાહેર કરાયેલા એક નિવેદનમાં, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચર્ચા લગભગ બે કલાક ચાલી અને પછી સમાપ્ત થઈ. અધિકારીએ જણાવ્યું કે, "સિચ્યુએશન રૂમની બેઠક પૂર્ણ થઈ છે અને તે લગભગ બે કલાક ચાલી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફક્ત એવા સોદાને આગળ ધપાવશે જે અમેરિકા માટે શ્રેષ્ઠ હોય અને તેમની 'રેડ લાઈન્સ'ને અનુસરતા હોય. ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર મેળવી શકશે નહીં," .
ટ્રમ્પે થોડા સમય પહેલા જ બેઠકની જાહેરાત કરી હતી, અને કહ્યું હતું કે તેનો હેતુ "અંતિમ નિર્ણય લેવાનો" છે. તેમણે એવી ઘણી શરતો પણ રજૂ કરી હતી જેથી તેમને અપેક્ષા હતી કે ઈરાન સંઘર્ષને સમાપ્ત કરવાના કોઈપણ સંભવિત કરારના ભાગ રૂપે સ્વીકારશે.
LIVE FEED
વધતા તણાવ વચ્ચે હિઝબુલ્લાહે ઉત્તરી ઇઝરાયલી શહેર પર રોકેટ હુમલો કર્યાનો દાવો કર્યો
હિઝબુલ્લાહે શનિવારે જાહેરાત કરી હતી કે તેણે ઉત્તરી ઇઝરાયલી શહેર કિર્યાત શમોનાને નિશાન બનાવીને રોકેટનો મારો ચલાવ્યો છે. જૂથે કહ્યું કે આ હુમલો ઇઝરાયલ દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનના જવાબમાં કરવામાં આવ્યો છે અને આ કાર્યવાહીને લેબનોન અને તેના લોકોના બચાવ તરીકે ગણાવી છે. તાજેતરમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે ગોળીબારની ઘટના વધુ તીવ્ર બની ગઈ છે, જ્યારે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે વાટાઘાટો હજુ પણ ચાલુ છે.
ઈરાનના રાષ્ટ્રપતિએ કતારના અમીર શેખ સાથે કરી વાતચીત
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને મંગળવારે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે વાત કરી. આ દરમિયાન તેમણે સંવાદ પ્રત્યે ઈરાનની પ્રતિબદ્ધતા ફરી દર્શાવી અને બીજા પક્ષને આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું પાલન કરીને પોતાની ઇચ્છાશક્તિ દર્શાવવા વિનંતી કરી. પેઝેશ્કિયાને કતારના રચનાત્મક સહયોગ અને શાંતિ પ્રત્યે અમીરના વ્યક્તિગત પ્રયાસો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. શેખ તમીમે પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે કતારના સમર્પણનો પુનરોચ્ચાર કર્યો અને સતત મધ્યસ્થીનું વચન આપ્યું.
આ વાટાઘાટો એવા સમયે થઈ જ્યારે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હવાઈ હુમલાઓ બાદ પ્રાદેશિક તણાવ વધી રહ્યો હતો, જેમાં અલી ખામેનેઈ સહિત અનેક ટોચના ઈરાની નેતાઓ માર્યા ગયા હતા. જવાબમાં, ઈરાને મોટા પાયે બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા. ઈસ્લામાબાદની મધ્યસ્થી હેઠળ 8 એપ્રિલે યુદ્ધવિરામ અમલમાં આવ્યો અને સ્થાયી ઉકેલ શોધવાના ઉદ્દેશ્ય સાથે વાટાઘાટો હવે ચાલી રહી છે.
ઈરાન સાથે તણાવ વચ્ચે, પેન્ટાગોનના વડા હેગસેથે એશિયા-પેસિફિક ક્ષેત્ર પર અમેરિકાના ફૉકસની વાત કરી
સિંગાપોરમાં શાંગરી-લા ડાયલૉગ દરમિયાન, હેગસેથે એ વાત પર ભાર મૂક્યો કે, અમેરિકા એશિયા-પેસિફિક ક્ષેત્ર પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, ભલે તે ઈરાન સાથે ચાલી રહેલા તણાવનો સામનો કરી રહ્યું હોય. હેગસેથે રોઇટર્સને જણાવ્યું કે, 'અમે એક જ સમયે બે કામ કરી શકીએ છીએ,"તેમણે જણાવ્યું કે અમેરિકા પોતાના રક્ષા ઉદ્યોગોનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. જેથી તે દુનિયાભરમાં પોતાના તમામ ઑપરેશનલ યોજનાઓને સંપૂર્ણ રીતે સમર્થન આપવા માટે બે, ત્રણ કે તેનાથી ચાર ગણો વધારે દારૂ-ગોળાનું ઉત્પાદન કરી શકે. હેગસેથે એ પણ કહ્યું કે,રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ બાબતમાં ધીરજ દાખવી રહ્યાં થે, તેમનો હેતુ ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવતા અટકાવે તેવા સોદા સુધી પહોંચવાનો છે.
અમેરિકા સાથે હાલમાં કોઈ સમજુતી નક્કી નહીં: ઈરાને હોર્મુઝના વહિવટ અધિકાર પર ભાર મુક્યો
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા, ઇસ્માઇલ બાગાઇએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે હજુ સુધી કોઈ સમજુતી નક્કી થઈ નથી, અને બંને પક્ષો વચ્ચે સંદેશાઓની આપ-લે થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના કરાર માટેની શરતો જણાવ્યા બાદ, બાઘાઇએ સરકારી IRIB ટીવી સાથેના ટેલિફોન ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં નિર્ણય લેશે અને પુનરોચ્ચાર કર્યો કે વાટાઘાટોમાં ઈરાનનું હાલનું ધ્યાન "યુદ્ધ સમાપ્ત કરવા પર" છે. તેમણે ઉમેર્યું, "આ તબક્કે, અમે ઈરાનના યુરેનિયમ સંવર્ધનની વિગતો અથવા સમૃદ્ધ યુરેનિયમ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા નથી." હોર્મુઝ સ્ટ્રેટના સંભવિત ફરીથી ખોલવા વિશે બોલતા, બાગાઇએ કહ્યું કે સ્ટ્રેટનું ભાવિ સંચાલન "ફક્ત ઈરાન અને ઓમાન સાથે સંબંધીત છે."
ભારત માટે 270,000 ટન તેલ લઈને નીકળેલું ટેન્કર હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થયું
શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર અપડેટ મુજબ, માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ લગાવેલું એક ક્રૂડ ઓઇલ ટેન્કર, 'નિસોસ કેરોસ', જે ભારત માટે આશરે 270,000 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ કાર્ગો વહન કરી રહ્યું હતું તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે અને 3 જૂને વિશાખાપટ્ટનમ પહોંચવાની અપેક્ષા છે. દેશની તમામ ઓઇલ રિફાઇનરીઓ પર્યાપ્ત ક્રૂડ ઇન્વેન્ટરી સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક પણ જાળવવામાં આવી રહ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક વપરાશને પહોંચી વળવા માટે રિફાઇનરીઓમાંથી સ્થાનિક LPG ઉત્પાદન આશરે 52 TMT/દિવસ સુધી વધારી દેવામાં આવ્યું છે.

