ETV Bharat / international

ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવી, ટ્રમ્પ પછી ચીનનો મોટો દાવો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ટાળવા ચીનનો મધ્યસ્થી કરી હોવાનો દાવો

ચીનના વિદેશ મંત્રી વાંગ યી 19 ઓગસ્ટ, 2025ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા
ચીનના વિદેશ મંત્રી વાંગ યી 19 ઓગસ્ટ, 2025ના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 31, 2025 at 8:29 AM IST

2 Min Read
Choose ETV Bharat

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સતત દાવાઓ અને ભારતના ખંડન બાદ, હવે ચીને દાવો કર્યો છે કે આ વર્ષની શરૂઆતમાં લશ્કરી અથડામણ દરમિયાન બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં વધારો ટાળવા માટે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવી હતી.

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા X પર જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ચીનના વિદેશી સંબંધો પરના સિમ્પોઝિયમમાં બોલતા જણાવ્યું હતું કે બેઇજિંગ ભારત-પાકિસ્તાન ગતિરોધ સહિત અનેક વૈશ્વિક સંઘર્ષોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી છે.

વાંગે કહ્યું, "લાંબા સમય સુધી શાંતિ બનાવવા માટે, અમે એક નિષ્પક્ષ અને ન્યાયી વલણ અપનાવ્યું છે અને લક્ષણો અને મૂળ કારમો બન્નેને હલ કરવા પર ધ્યાન આપ્યું છે. હોટસ્પોટ મુદ્દાઓના સમાધાન માટે આ ચીની અભિગમને અનુસરીને, અમે ઉત્તરી મ્યાનમાર, ઇરાની પરમાણુ મુદ્દો, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ, પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચેના મુદ્દાઓ અને કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેના તાજેતરના સંઘર્ષમાં મધ્યસ્થી કરી છે."

વાંગની આ ટિપ્પણી મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી ટકરાવના મહિનાઓ પછી આવી છે. આ ટકરાવ 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે શરૂ થયો હતો જેમાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને તેના કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને જવાબ આપ્યો હતો.

ભારતે સતત કોઇપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી હોવાના દાવાને ફગાવ્યા છે અને કહ્યું છે કે ચાર દિવસનો ટકરાવ મિલિટ્રી-ટૂ-મિલિટ્રી વાતચીતથી ઉકેલાયો હતો. નવી દિલ્હીએ કહ્યું કે આ ભારે નુકસાનને કારણે , પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)એ ભારતીય DGMOને ફોન કર્યો હતો અને બન્ને પક્ષો 10 મેથી જમીન, હવા અને સમુદ્રમાં તમામ ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી રોકવા માટે સંમત થયા હતા.

ચીનના દાવાએ સંકટ દરમિયાન તેની ભૂમિકા પર ફરીથી ધ્યાન ખેચ્યું છે, ખાસ કરીને પાકિસ્તાન સાથેના તેના ગાઢ સંરક્ષણ સંબોધને ધ્યાનમાં રાખીને. ચીન પાકિસ્તાનનો સૌથી મોટો હથિયાર સપ્લાયર છે. નવેમ્બરમાં, અમેરિકા0ચીન ઇકોનોમિક એન્ડ સિક્યુરિટી કમીશન દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ચીન પર ઓપરેશન સિંદૂર બાદ ખોટી સૂચના અભિયાન ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

અમેરિકન કોંગ્રેસની સલાહકાર સંસ્થાએ જણાવ્યું હતું કે, બેઇજિંગ નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરી AI-જનરેટેડ નકલી વિમાનના કાટમાળની તસવીરો બતાવી હતી જેનો હેતુ કથિત રીતે ફ્રાન્સીસી રાફેલ ફાઇટર જેટ્સના વેચાણને ઓછો કરવા અને પોતાના J-35 વિમાન પર ભાર મુકવાનો હતો.

રાજદ્વારી મોરચે, બેઇજિંગે ઓપરેશન સિંદૂરના પ્રથમ દિવસે સંયમ રાખવાની હાકલ કરી હતી, ભલે તેણે ભારતના હુમલાઓ પર દુ:ખ વ્યક્ત કર્યું હોય. ચીની વિદેશ મંત્રાલયે 7 મેએ કહ્યું હતુ કે, "ચીનને આજે સવારે ભારતના સૈન્ય અભિયાન પર ખેદ છે. અમે વર્તમાન પરિસ્થિતિને લઇને ચિંતિંત છીએ."

આ પણ વાંચો: