ETV Bharat / health

દવા લેવા છતાં પણ કંટ્રોલ નથી થતું બ્લડ પ્રેશર? જાણો 'રેઝિસ્ટન્ટ હાઈપરટેન્શન'ના કારણો અને બચાવના ઉપાય

અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ, યોગ્ય માત્રામાં ત્રણ અલગ-અલગ દવાઓ અને ડાયયુરેટિક લેવા છતાં જો બ્લડ પ્રેશર સામાન્ય કરતાં વધારે રહે, તો તેને 'રેઝિસ્ટન્ટ હાઈપરટેન્શન' કહેવાય.

બ્લડ પ્રેશરની દવા લેવા છતાં પણ કંટ્રોલ નથી થતું? જાણો શું છે કારણ
બ્લડ પ્રેશરની દવા લેવા છતાં પણ કંટ્રોલ નથી થતું? જાણો શું છે કારણ (GETTY IMAGES)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 26, 2026 at 2:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ : સમગ્ર દેશમાં હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર આરોગ્ય સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, ભારતમાં આશરે 22 કરોડ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે, પરંતુ તેમાંથી માત્ર 12 ટકા લોકો જ તેને યોગ્ય રીતે કંટ્રોલ કરી શકે છે. ઘણા લોકો ડૉક્ટરની સલાહ અને દવાઓનું સખત પાલન કરે છે, છતાં તેમનું બ્લડ પ્રેશર ઊંચું જ રહે છે. આ સ્થિતિને તબીબી ભાષામાં 'રેઝિસ્ટન્ટ હાઈપરટેન્શન' કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે આ સ્થિતિ શા માટે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

રેઝિસ્ટન્ટ હાઈપરટેન્શન એટલે શું?

અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલ મુજબ, જો કોઈ વ્યક્તિ યોગ્ય માત્રામાં ત્રણ અલગ-અલગ બ્લડ પ્રેશરની દવાઓ લેતો હોય અને તેની સાથે ડાયયુરેટિક (પાણીની ગોળી – જે કિડની દ્વારા શરીરમાંથી વધુ નમક અને પાણી બહાર કાઢવામાં મદદ કરે છે) પણ લેતી હોય, પરંતુ તેમ છતાં તેનું બ્લડ પ્રેશર સામાન્ય કરતાં વધારે રહે, તો તેને 'રેઝિસ્ટન્ટ હાઈપરટેન્શન' કહેવાય છે.

જોખમી પરિબળો શું છે?

આ સ્થિતિ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે:

  • જીવનશૈલીની ટેવો: ખોરાકમાં વધુ પડતું મીઠું લેવું, મોટાપો, કસરતનો અભાવ, ધૂમ્રપાન અને વધુ પડતો દારૂ પીવો.
  • આરોગ્ય સમસ્યાઓ: ડાયાબિટીસ, ક્રોનિક કિડની રોગ, સ્લીપ એપનિયા (નિંદ્રામાં શ્વાસ અટકવાની સમસ્યા), થાઇરોઇડની વિકૃતિઓ અથવા હોર્મોનલ અસંતુલન.
  • ઉંમર અને કૌટુંબિક ઇતિહાસ: વધતી ઉંમર અને કુટુંબમાં હાઈ બ્લડ પ્રેશરનો ઇતિહાસ ધરાવતા લોકોમાં જોખમ વધારે હોય છે.
  • દવાઓની અસર: ડૉક્ટરે લખેલી દવાઓ યોગ્ય રીતે ન લેવી, ડોઝ ચૂકી જવો અથવા આડઅસરોના ડરથી દવા બંધ કરી દેવી. વધુમાં, પીડા નિવારક (NSAIDs જેમ કે ઇબુપ્રોફેન), શરદીની દવાઓ (ડિકંજેસ્ટન્ટ), સ્ટેરોઇડ્સ અને કેટલાક આયુર્વેદિક અથવા હર્બલ સપ્લીમેન્ટ્સ પણ બ્લડ પ્રેશર વધારી શકે છે.

આ સ્થિતિ સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

ક્લીવલેન્ડ ક્લિનિકના મતે, અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર હૃદયરોગ, હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડનીના રોગ, હાર્ટ ફેલિયર અને રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિથી મગજ પર પણ ભારે દબાણ આવે છે, જેના કારણે યાદશક્તિ ઘટી શકે છે, સોચવાની ક્ષમતા ક્ષીણ થઈ શકે છે, અને 'વેસ્ક્યુલર ડિમેન્શિયા' નામની સ્થિતિ થવાનું જોખમ રહે છે. આ સિવાય આંખોની રેટિના સુધી લોહી પહોંચાડતી નસોને નુકસાન થવાથી દ્રષ્ટિ પણ ગુમાવી શકાય છે.

આવી સ્થિતિમાં શું સાવધાની રાખવી જોઈએ?

દવાઓ ઉપરાંત જીવનશૈલીમાં ફેરફાર આ સમસ્યાને કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે:

  • ખોરાક: મીઠું લેવાનું ઘટાડી દો. ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓછી ચરબીવાળા પ્રોટીનનું વધુ સેવન કરો.
  • કસરત: અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 30 મિનિટ ઝડપી ચાલવા જેવી કસરત કરો.
  • વજન: તમારા શરીરની લંબાઈ મુજબનું સ્વસ્થ વજન જાળવો.
  • અનિચ્છનીય ટેવો: ધૂમ્રપાન સંપૂર્ણપણે બંધ કરો અને દારૂનું સેવન મર્યાદિત કરો.
  • તણાવ અને ઊંઘ: યોગ અને ધ્યાન દ્વારા તણાવ ઘટાડો. દરરોજ 7-8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લો.


તમારી બ્લડ પ્રેશરની દવા ક્યારેય પોતાની મરજીથી બદલશો નહીં અથવા બંધ કરશો નહીં. હંમેશાં હૃદયરોગ નિષ્ણાત (કાર્ડિયોલોજિસ્ટ) અથવા કિડની નિષ્ણાતની દેખરેખ હેઠળ જ સારવાર લો. ઉપરાંત, ખાતરી કરો કે તમે બ્લડ પ્રેશર યોગ્ય રીતે માપો છો – જો કફનું કદ ખૂબ નાનું હોય અથવા તે યોગ્ય રીતે ફીટ ન થાય, તો રીડિંગ વધારે આવી શકે છે, જે ખોટી સમજ આપે છે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી તમામ આરોગ્ય માહિતી અને સૂચનો માત્ર સામાન્ય સમજ માટે છે. આ માહિતી વૈજ્ઞાનિક સંશોધન, અભ્યાસ અને તબીબી નિષ્ણાતોની સલાહ પર આધારિત છે. કોઈપણ સારવાર અથવા દવા લેતા પહેલાં હંમેશાં તમારા ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.)

આ પણ વાંચો...

  1. ભારતમાં ક્યાં ગ્રુપનું રક્ત ધરાવતા વધુ લોકો છે, અને ક્યાં સુધી રક્ત સારું રહે છે, જાણો બધુ જ...
  2. તણાવ, ડાયાબિટીસ અને હાર્ટની બીમારીને કાબૂ કરવાનો રામબાણ ઉપાય છે યોગ, ઉંમર વધવા સાથે શરીરને રાખે છે યુવાન અને મજબૂત