સપ્તકનો બીજો દિવસ: પં.સાજન મિશ્રાના ગાન અને સરોદ તથા તબલાની સરગમ થકી સાંજ અવિસ્મરણ બની
સપ્તક સંગીત સમારોહના બીજા દિવસે પંડિત સાજન મિશ્રાના ગાન અને સરોદ તથા તબલાની સરગમ થકી અવિસ્મરણ બની. જાણીએ સપ્તકના બીજા દિવસની પ્રસ્તુતિ...

Published : January 3, 2026 at 10:38 AM IST
|Updated : January 3, 2026 at 11:15 AM IST
અમદાવાદ: અમદાવાદમાં ચાલી રહેલા 46માં સપ્તક સંગીત સમારોહમાં સૂર અને સંગીતની સાધનામાં લોકો લીન થયા છે. ત્યારે સપ્તક સંગીત સમારોહના બીજા દિવસે પંડિત સાજન મિશ્રાના ગાન અને સરોદ તથા તબલાની સરગમ થકી શુક્રવારની અવિસ્મરણ બની ગઈ. જાણીએ સપ્તક સમારોહના બીજા દિવસની પ્રસ્તુતિ...
પ્રથમ સત્રથી જ શ્રોતા મંત્ર મુગ્ધ
સપ્તકના બીજા દિવસે એટલે કે શુક્રવારે પ્રથમ સત્રમાં વોકલ કલાકાર સંજય બેનર્જી એ ઉપસ્થિત શ્રોતાનાં મન વિલંબિત લય બંદિશથી હરી લીધા હતા. સંજય બેનર્જી એ 'ઢૂંઢ બરસિયા'ના ગાન અને પછી 'પાયલ મોરી બાજે છનન...' થી વાતાવરણને સુરોથી તરબોળ કર્યું હતું.
ભાવકો તેમની પ્રસ્તુતિ 'ચલ મન ગંગા યમુના તીર'ને વધાવી લીધું હતું. સંજય બેનર્જી સંગ તબલા પર તન્મય બોઝ અને હાર્મોનિયમ પર સંગત પરોમિતાજીએ ભાવકોનાં મન હરી લીધા હતા.
સભાના બીજા સત્રમાં સરોદ વાદક દેવસ્મિતા ભટાચાર્ય અને તબલા પર સંગત કરનાર યશવંત વૈષ્ણવે ભાવકોને સૂર સમન્વય થકી અદભુત અનુભૂતિ કરાવી. પોતાના અંદાજમાં સરોદ પર દેવસ્મિતા અને તબલા પર યશવંત વૈષ્ણવે સંગીતની પૂર્ણ સમર્પણ અને સાધનાનો પરિચય આપ્યો.
લંડન સહિત વિદેશમાં પર્ફોર્મ કરતા દેવસ્મિતા ભટ્ટાચાર્ય માટે સપ્તક સંગીત સમારોહ એ કલાકારો માટે મંદિર છે. સરોદ પર દેબ સ્મિતાજી એ રાગ કૌશી કાનડા રજૂ કર્યો. બાદમાં દેબ સ્મિતા ભટાચાર્ય અને યશવંત વૈષ્ણવે રાગ મિશ્ર ખમાજ રજૂ કરી અદભૂત સમન્વય સાધ્યો હતો. સત્રના બીજા દિવસનું સમાપન અંગમાં સુરીલી ધૂન થી કર્યો હતો. મૂળે પંજાબ ઘરાનાના યશવંત વૈષ્ણવ નંદન મહેતા તાલ વા સ્પર્ધાના વિજેતા છે.
પંડિત સાજન મિશ્રા જી એ રાગ જોગ થકી ભાવકોના દિલ ડોલાવ્યા
સપ્તક સંગીત સમારોહના બીજા દિવસના અંતિમ સત્રમાં પદ્મ ભૂષણ પંડિત સાજન મિશ્રાજી એ પોતાના પ્રભાવશાળી રજૂઆત થી ભાવકોના મન હરી લીધા હતા. આરંભમાં પંડિત સાજન મિશ્રા જી એ રાગ જોગમાં વિલંબિત 'એક તાલમાં કાહે ગુમાન કરે તું બાવરા'ની બંદિશ રજૂ કરી. પંડિત સાજન મિશ્રા જી એ રાગ દરબારીની પણ પ્રસ્તુતિ કરી હતી.
અંતમાં પોતાના રસાસ્વાદ કરાવતા ભજન થી સત્રનો બીજો દિવસ પૂર્ણ કર્યો હતો. પંડિત સાજન મિશ્રા જી સાથે મંચ પર તેમના પુત્ર સ્વરાંશ મિશ્રા પણ જોડાયા હતા. સ્વરાંશ મિશ્રા તેમના પરિવારની છઠ્ઠી પેઢી છે કે જેઓ સંગીત સુર સાથે જોડાયેલા છે. પંડિત સાજન મિશ્રા સાથે મંચ પર તબલા પર શુભ મહારાજ અને હાર્મોનિયમ પર ધર્મનાથ મિશ્રા એ સંગત કરી હતી.
Saptak 2026: સપ્તકના પ્રથમ દિવસે શુભા મુદગલ અને મોહન બ્રધર્સ છવાયા, દર્શકો બોલ્યા 'વાહ ઉસ્તાદ'

