તેલંગાણાની એક એવી આરોગ્ય સંસ્થા, જ્યાં થાય છે બાળકોની મફત હૃદયની સર્જરી
તેલંગાણા સ્થિત શ્રી સત્ય સાઈ સંજીવની સેન્ટરમાં બાળકોની મફત હૃદય સર્જરી કરવામાં આવે છે.

Published : February 28, 2026 at 12:23 PM IST
તેલંગાણા:સિદ્દીપેટ જિલ્લામાં આવેલી આરોગ્ય સંસ્થા શ્રી સત્ય સાઈ સંજીવની સેન્ટરે ભારત અને વિદેશના 336 જેટલાં બાળકોની વિનામૂલ્યે હૃદય સર્જરી અને હૃદય સંબંધિત રોગોની સારવાર કરી છે.
સંસ્થાના અધ્યક્ષ ડૉ.સી.શ્રીનિવાસના જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ જન્મજાત હૃદયની ખામીઓ સાથે જન્મેલા બાળકોની સારવાર માટે સમર્પિત છે. "અત્યાર સુધી, ભારત અને અન્ય 14 દેશોમાંથી 233 બાળકોની સફળતાપૂર્વક ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી છે, જ્યારે 103 બાળકોને એડવાન્સ્ડ કાર્ડિયાકની સારવાર કરવામાં આવી છે, જેનાથી કુલ 336 માસૂમોને નવજીવન આપવામાં આવ્યું છે.
23 નવેમ્બર, 2024ના રોજ કોંડાપાકા ખાતે આ સંજીવની હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 100 બેડની આ હોસ્પિટલ અદ્યતન તબીબી ટેકનોલોજી, અનુભવી ડોકટરો અને સંપૂર્ણ ડિજિટલ પ્રયોગશાળાથી સજ્જ છે. તબીબી સેવાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ છે.
હોસ્પિટલમાં એક અત્યાધુનિક કેથેટરાઇઝેશન પ્રયોગશાળા (કેથ લેબ) પણ છે. મોટા ચીરાની જરૂર પડતી પરંપરાગત શસ્ત્રક્રિયાઓથી વિપરીત, આ અદ્યતન સુવિધા ઓછામાં ઓછા કાપ દ્વારા સારવાર કરવામાં આવે છે. કેથેટર નામની પાતળી નળી હાથ અથવા પગની રક્ત વાહિનીઓમાંથી પસાર થઈને હૃદય સુધી પહોંચે છે, જેનાથી નિદાન અને સારવાર ઓછી પીડા અને ઝડપી સ્વસ્થતા સાથે શક્ય બને છે.
દર વર્ષે, ભારતમાં આશરે 3.5 બાળકો હૃદય સંબંધિત રોગો સાથે જન્મે છે, અને સમયસર અને સસ્તી સારવારના અભાવે આશરે 1 લાખ બાળકો મૃત્યુ પામે છે. સંજીવની કેન્દ્ર આવા પરિવારો માટે એક આશીર્વાદ તરીકે ઉભરી આવ્યું છે.
આ કેન્દ્ર ફક્ત જન્મજાત હૃદય રોગોની સારવાર કરે છે, એટલે કે, કેટલીક એવી બિમારીઓ જે ગર્ભાશયમાં જ થઈ જતી હોય છે, અને હૃદયમાં કાણું, વાલ્વમાં ખામી અને અસામાન્ય રક્ત પ્રવાહ સહિત લગભગ 100 પ્રકારની હૃદયની બિમારીની સારવાર અને શસ્ત્રક્રિયા કરે છે.
શ્રી સત્ય સાઈ સંજીવની સેન્ટર દ્વારા ન માત્ર નિદાન પરંતું શસ્ત્રક્રિયા, દવાઓ, ભોજન અને રહેવાની વ્યવસ્થા સહિતની તમામ સેવાઓ પણ મફતમાં પૂરી પાડવામાં આવે છે. સારવાર દરમિયાન બાળક અને માતાપિતા બંનેને ભોજન અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. આ હોસ્પિટલ સત્ય સાઈ હેલ્થ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, જે નવા રાયપુર, પલવલ અને નવી મુંબઈમાં પણ આજ પ્રકારની સુવિધાઓ સક્રિય છે.
સંસ્થાના સ્વયંસેવકો ગંભીર હૃદય ખામી ધરાવતા બાળકોને ઓળખવા અને તેમને સારવાર માટે કેન્દ્રમાં લાવવા માટે દૂરના અને આદિવાસી વિસ્તારોમાં તબીબી શિબિરોનું આયોજન કરે છે. માતાપિતા હોસ્પિટલના સત્તાવાર સંપર્ક નંબર પર કૉલ કરીને સારવાર માટે એપોઇન્ટમેન્ટ મેળવી શકે છે. જરૂરિયાત મંદ લોકો માટે સંસ્થાના આ નંબર પર 80101 19000 પર કૉલ કરીને અથવા 70751 37733 પર WhatsApp મેસેજ મોકલીને પણ એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે.

