આસારામની આજીવન કેદની સજા યથાવત, બે સેવકો થયાં નિર્દોષ જાહેર
આ કેસમાં, પીડિતાના વકીલ, પીસી સોલંકીએ જણાવ્યું હતું કે કોર્ટે સજા પર સ્ટે આપ્યો નથી.

Published : May 27, 2026 at 9:48 AM IST
|Updated : May 27, 2026 at 2:18 PM IST
જોધપુર, રાજસ્થાન: જાતીય શોષણ કેસમાં આસારામ ઉર્ફે આસુમલની આજીવન કેદની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર બુધવારે હાઇકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. હાઇકોર્ટના ન્યાયાધીશ અરુણ કુમાર મોંગા અને યોગેન્દ્ર કુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે આસારામને સંપૂર્ણપણે આરોપમુક્ત જાહેર કર્યા નથી. તેમની સજા રદ કરવાની અપીલ ફગાવી દેવામાં આવી છે, પરંતુ તેમને POCSO એક્ટ, ગેંગરેપ અને ભારતીય દંડ સંહિતાની કાવતરાની કલમો હેઠળ બિન-જામીનપાત્ર ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા ન હતા. ડિવિઝન બેન્ચે POCSO એક્ટ હેઠળ બળાત્કારના આરોપો, POCSO એક્ટ હેઠળ જાતીય શોષણના આરોપો અને JJ એક્ટની અન્ય કલમો પર નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો છે, જેનો અર્થ એ છે કે તેમની આજીવન સજા અકબંધ રહેશે.
બેન્ચે આસારામના સહાયકો, શરતચંદ્ર ઉર્ફે શિવ અને શિલ્પીને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં, પીડિતાના વકીલ, પી.સી. સોલંકીએ જણાવ્યું હતું કે કોર્ટે સજા પર સ્ટે આપ્યો નથી. આજીવન કેદની સજા યથાવત છે, જોકે રાહત જરૂર આપી છે. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, નિર્દોષ જાહેર કરાયેલા આરોપીઓના આદેશ સામે તેઓ પીડિતા સાથે વાત કરશે અને સુપ્રીમકોર્ટમાં જઈશું. આ નિર્ણય બાદ, આસારામને હવે જેલમાં આત્મસમર્પણ કરવું પડશે.
20 એપ્રિલે સુનાવણી પૂર્ણ થઈ: ગત 20 એપ્રિલે, આસારામ, શરતચંદ્ર અને શિલ્પી તરફથી સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી પૂર્ણ થઈ. આસારામ અને તેમના અનુયાયીઓ તરફથી વરિષ્ઠ વકીલ દેવદત્ત કામત, વકીલ દીપક મેનારિયા અને યશપાલ સિંહ રાજપુરોહિતે દલીલ કરી હતી. રાજ્ય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ દીપક ચૌધરીએ દલીલ કરી, અને પીડિતા તરફથી એડવોકેટ પીસી સોલંકીએ દલીલ કરી. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી, હાઇકોર્ટે 20 એપ્રિલ, 2026 માટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો.
આસારામને આજીવન કેદની સજા : 25 એપ્રિલ, 2018 ના રોજ, એક ખાસ કોર્ટે સગીરા સાથે બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. સહ-આરોપી શિલ્પી અને શરત ચંદને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. આ નિર્ણયને પડકારતા, ત્રણેયે રાજસ્થાન હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
આસારામ હાલમાં જામીન પર : જોધપુર જેલની કોર્ટમાં જ આસારામને સજા સંભળાવવામાં આવી હતી. ત્યાર બાદ આસારામ જેલમાં જ રહ્યા. તેમને ફક્ત આરોગ્ય તપાસ માટે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. માર્ચ 2024 માં, આસારામને પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે 10 દિવસ માટે જામીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમને જામીન મળતા રહ્યા. હાલમાં, આસારામ વચગાળાના જામીન પર બહાર છે, જે બે દિવસ પહેલા 7 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં ડઝનબંધ અરજીઓ, અપીલો: જેલમાં હતા ત્યારે, આસારામના વકીલોએ હાઈકોર્ટ, નીચલી અદાલતો અને સુપ્રીમ કોર્ટમાં ડઝનબંધ અરજીઓ દાખલ કરી હતી જેમાં તેમને જામીન પર મુક્તિ મળે તે માટે વિનંતી કરવામાં આવી હતી. આ અરજીઓની લાંબી સુનાવણી થઈ, પરંતુ આસારામને 2024 સુધી કોઈ રાહત મળી નહીં. માર્ચ 2024 માં, આસારામને પહેલી વાર સારવાર માટે 10 દિવસ માટે જામીન આપવામાં આવ્યા હતા. આ ક્રમ ચાલતો રહ્યો અને આજે પણ ચાલુ છે.

