ઓડિશાના ઢેંકાનાલમાં પથ્થરની ખાણમાં મોટી દુર્ઘટના, વિસ્ફોટ દરમિયાન ખડકનો મોટો ટુકડો પડવાથી બે શ્રમિકોના મોત
ખાણમાં ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટ દરમિયાન ઉપરથી ખડકનો મોટો ટુકડો પડવાથી બે શ્રમિકોના મોત થયા છે.

Published : January 4, 2026 at 2:41 PM IST
ઢેંકાનાલ (ઓડિશા): ઓડિશાના ઢેંકાનાલ જિલ્લામાં એક પથ્થર ખાણમાં ભેખડ ધસી પડવાથી બે કામદારોના મૃત્યું નીપજ્યાં છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, આ ઘટના શનિવારે સાંજે બની હતી. જિલ્લાના મોટાંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોપા લપુર ગામ નજીક આવેલી ખાણમાં કામદારો ખોદકામ અને પથ્થર કાઢવામાં રોકાયેલા હતા.
માહિતી મળતાં, ધેંકનાલ જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ઈશ્વર પાટિલ, પોલીસ અધિક્ષક અભિનવ સોનકર અને મોટાંગા પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ અને ODRAF ટીમો દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં બે કામદારોના મૃતદેહ મળી આવ્યા છે. રવિવાર સવારથી, પોલીસ, ફાયર વિભાગ અને ODRAF ટીમો JCB જેવા મશીનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી રહી છે.
આ ખાણમાં ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટિંગ માટે પથ્થરની એક મોટી દિવાલમાં ખાડો ખોદતી વખતે, ઉપરથી ખડકનો એક મોટો ટુકડો પડ્યો. જીવ ગુમાવનારા બે કામદારોની ઓળખ બાલાસોર જિલ્લાના નીલગીરીના રહેવાસી અભિ સિંહ અને ખોરધા જિલ્લાના ટાંગી પોલીસ સ્ટેશન હેઠળના ગોદાધરા ગામના રહેવાસી કાન્હા ચંપિયા તરીકે થઈ છે. વિસ્ફોટને કારણે પથ્થરનો મોટો ટુક્ડો પડ્યો હતો ત્યારે બંને ખાણમાં કામ કરી રહ્યા હતા.
ઢેંકાનાલ જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ઈશ્વર પાટીલે જણાવ્યું હતું કે, "આ ખાણ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. પથ્થરની ખાણમાં વિસ્ફોટની માહિતી મળ્યા બાદ અમે વહેલી સવારે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે. શોધ કામગીરી હજુ પણ ચાલુ છે, જોકે માહિતી દર્શાવે છે કે ફક્ત બે જ મૃતદેહો મળ્યા છે."
કામદાર અભિ સિંહની પત્ની મીની સિંહે જણાવ્યું હતું કે, "મારા પતિ અહીં રહેતા અને કામ કરતા હતા. અહીંના લોકો કહી રહ્યા છે કે તેમના પર એક ખડક પડ્યો હતો. તે છેલ્લા છ-સાત વર્ષથી અહીં કામ કરી રહ્યા હતા."
અગાઉ, હિંડોલ રોડના આસિસ્ટન્ટ ફાયર ઓફિસર નબાઘાના મલિકે જણાવ્યું હતું કે, "અમને આજે સવારે માહિતી મળી હતી કે કેટલાક લોકો પથ્થરની ખાણમાં ફસાયા છે. બચાવ કામગીરી દરમિયાન, એક પગ દેખાતો હતો. શક્યતા છે કે વધુ લોકો ફસાયેલા હોય. પથ્થરોનો ઢગલો એટલો મોટો હોવાથી, માણસો દ્વારા તેને દૂર કરવું શક્ય નથી. આ હેતુ માટે મશીનો બોલાવવામાં આવી રહ્યા છે. આ બચાવ કામગીરી માટે ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી છે."

