'બિન જરૂરી યાત્રા કરવાથી બચો, કામ વગર બહાર ના નીકળો', ભારતે વેનેઝુએલામાં રહેતા નાગરિકો માટે જાહેર કરી માર્ગદર્શિતા
વિદેશ મંત્રાલયે વેનેઝુએલામાં રહેતા તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવા અને તેમની હિલચાલ ઓછી કરવાની સલાહ પણ આપી છે.

Published : January 4, 2026 at 12:01 PM IST
નવી દિલ્હી: દક્ષિણ અમેરિકન દેશના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને અમેરિકા દ્વારા કરવામાં આવેલા લશ્કરી કાર્યવાહી બાદ, ભારતે શનિવારે રાત્રે તેના નાગરિકોને વેનેઝુએલાની બિન-જરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે વેનેઝુએલામાં રહેતા તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવા અને તેમની અવર જવર મર્યાદિત કરવા પણ વિનંતી કરી છે.
અમેરિકાએ માદુરો પર ડ્રગ્સ તસ્કરીમાં સામેલ થવાનો સતત આરોપ લગાવ્યા બાદ વેનેઝુએલાના પાટનગર કારાકસ પર સૈન્ય હુમલો કર્યો હતો. જોકે, તેલથી સમૃદ્ધ દેશના રાષ્ટ્રપતિએ આ આરોપોનો ઇનકાર કર્યો હતો.
અમેરિકન સૈનિકો માદુરો અને તેમના પત્નીને અમેરિકા લઇ ગયા હતા. અમેરિકાની કાર્યવાહી બાદ વેનેઝુએલાએ નેશનલ ઇમરજન્સી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, "વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમને જોતા ભારતીય નાગરિકોને વેનેઝુએલાની બિન-જરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે."
Advisory for Venezuela ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) January 3, 2026
🔗 https://t.co/vz4hBkOhVx pic.twitter.com/hzJsL3WQBL
એડવાઇઝરી અનુસાર, "કોઈપણ કારણોસર વેનેઝુએલામાં હાજર તમામ ભારતીયોને સાવધાની રાખવા, હિલચાલ ઓછી કરવા અને કારાકાસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે." મંત્રાલયે ભારતીયોને ફોન નંબર +58-412-9584288 (વોટ્સએપ કોલ માટે પણ ઉપલબ્ધ) અને ઇમેઇલ આઈડી cons.caracas@mea.gov.in દ્વારા દૂતાવાસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. કારાકાસમાં દૂતાવાસ અનુસાર, વેનેઝુએલામાં આશરે 50 પ્રવાસી ભારતીય અને 30 ભારતીય મૂળના લોકો છે.
અમેરિકાની આ કાર્યવાહીથી દક્ષિણ અમેરિકન દેશમાં રાજકીય અનિશ્ચિતતા સર્જાઇ છે. રશિયા અને ચીન સહિત અનેક મોટી તાકાતોએ માદુરો અને તેમની પત્નીના ઓપરેશન અને ધરપકડ માટે વોશિંગ્ટનની ટીકા કરી છે. કારાકાસમાં ઓપરેશનના કેટલાક કલાક બાદ, ટ્રમ્પે અમેરિકાના યુદ્ધ જહાજ ઇવો જીમા પર માદુરોની એક તસવીર પોસ્ટ કરી હતી. અમેરિકન અધિકારીઓ અનુસાર માદુરોને ન્યૂયોર્ક લાવવામાં આવ્યા છે જ્યાં તેમને ડ્રગ્સ તસ્કરીને સપોર્ટ કરવાના આરોપોનો સામનો કરવો પડશે.
ટ્રમ્પે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે જ્યાં સુધી સત્તાનું હસ્તાંતરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમેરિકા વેનેઝુએલા પર શાસન કરશે. ટ્રમ્પે કહ્યું, "અમે દેશને ત્યાર સુધી ચલાવીશું જ્યાર સુધી અમે એક સુરક્ષિત, ન્યાયી અને સમજદાર હસ્તાંતરણ પ્રાપ્ત ના કરીએ." અમેરિકાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે આ સફળ ઓપરેશન, તે બધા લોકો માટે ચેતવણી હોવી જોઇએ જે અમેરિકાના સાર્વભૌમત્વને જોખમમાં મૂકે છે અથવા અમેરિકન લોકોના જીવને ખતરામાં મૂકે છે. જોકે, ભારતે હજુ સુધી અમેરિકાની કાર્યવાહી પર કોઇ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો:

