જામનગર: જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામમાં એક ખેડૂતના રહેણાક મકાનની ઓસરીમાં રાખવામાં આવેલો 48 ગુણી જીરુંનો જથ્થો કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાવી છે. બાજુમાં જ આવેલા પેટ્રોલ પંપ ના સીસીટીવી કેમેરામાં અલગ અલગ બે કારમાં તસ્કરો ચોરી કરવા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
1,68,000ની કિંમતનું જીરું ચોરી: ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, ધ્રોળ તાલુકાના વાંકિયા ગામમાં રહેતા અને પેટ્રોલ પંપ તેમજ અન્ય વેપાર કરતા ધર્મેશભાઈ હરજીવનભાઈ ભીમાણી નામના પટેલ વેપારીએ ધ્રોળ પોલીસ મથકમાં પોતાના રહેણાક મકાનમાંથી 1,68,000ની કિંમતનું 48 મણ જીરૂની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.
સીસીટીવી કેમેરાના આધારે તપાસ ચાલું: પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર, ફરિયાદી દ્વારા પોતાના મકાનમાં જીરું તૈયાર કરીને તેની અલગ-અલગ ગુણીઓ રાખવામાં આવી હતી. જે સ્થળ પરથી ગત 23મી તારીખે મોડી રાત્રે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ તસ્કરો ચોરી કરવા આવ્યા હતા અને તેમના મકાનની ઓસરીમાંથી 48 મણ જેટલી 16 ગુણીની ચોરી કરી લઈ ગયા હતા. બાજુમાં જ આવેલા પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં અલગ અલગ બે કારમાં કોઈ તસ્કરો ચોરી કરવા આવ્યા હોય અને તેઓ દ્વારા ઉપરોક્ત જીરુંની ચોરી કરીને લઈ ગયા હોવાનું અનુમાન લગાવાયું છે. ધ્રોલ પોલીસ દ્વારા તે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.
આ પણ વાંચો: