જૂનાગઢ: આજે વિશ્વ હેરિટેજ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતનું સ્થાપત્ય અને તેમાં પણ સોરઠ પ્રદેશમાં આવેલી ગુફાઓ આજે પણ પહેલી બીજી અને ત્રીજી સદી કરતા પણ વધારે પૌરાણિક સ્થાપત્ય કલાનો પ્રતિનિધિત્વ કરતી ઊભેલી જોવા મળે છે. જૂનાગઢમાં આવેલી બૌદ્ધ, ખાપરા કોડિયા અને બાવા પ્યારેની ગુફા આજે પણ હજારો વર્ષ પૂર્વેના કલા સ્થાપત્ય, રહેઠાણ અને ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરી રહી છે.
વિશ્વ હેરિટેજ દિવસ અને કલા સ્થાપત્ય: આજે પણ પહેલી, બીજી સદી કરતા પણ પૌરાણિક કલા સ્થાપત્યના નમુના ગુજરાતની શાનમાં વધારો કરતા અડીખમ ઉભેલો જોવા મળે છે. તેમાં પણ ગુફાની વાત કરવામાં આવે તો જૂનાગઢ અને સમગ્ર સોરઠ પંથક ગુફાઓના એક જાજરમાન ઇતિહાસ સાથે આજે પણ પૌરાણિક ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે. જૂનાગઢના ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફા, ગિરનાર તળેટી તરફ જવાના માર્ગ પર આવેલી ખાપરા કોડિયાની ગુફા અને ફુલીયા હનુમાન વિસ્તારમાં આવેલી બાવાપ્યારાની ગુફા આજે પણ જૂનાગઢના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જાણે કે ત્રણેય દિશાઓમાં રક્ષણ અને પ્રજ્વલિત કરતી હોય તે પ્રકારે અડીખમ ઊભેલી જોવા મળે છે.
જૂનાગઢમાં આવેલી આ ગુફાઓની વિગતે નોંધ સર્વ પ્રથમ વખત સર જેમ્સ બર્ગેસે કરી હોવાની વિગતો પણ મળી રહી છે. સમગ્ર સોરઠ પંથકમાં જે ગુફાઓ આજે પણ જોવા મળે છે તે મોટે ભાગે ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલા હશે તેવું આજે પણ માનવામાં આવે છે. ગુફા પર મળતા ચિન્હો મુજબ આવી ગુફાઓ જૈન, બૌદ્ધ અને ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલી હોવાની માન્યતા છે.

ખાપરા કોડિયાની ગુફા: ખાપરા કોડિયાના નામથી પ્રસિદ્ધ આ ગુફા ઈ.સ બીજીથી ચોથી સદીની વચ્ચે બનાવવામાં આવી હશે તેવું માનવામાં આવે છે. ખાપરા કોડિયાની ગુફા એક વિશાળ પથ્થરની શીલાને કોતરીને તેમાં એક કરતાં વધારે માળની બનાવવામાં આવી હોવાનું અનુમાન છે. બે માળમાં વિસ્તાર પામેલી આ ગુફાઓમાં 20 જેટલા સ્તંભો જોવા મળે છે જે તે સમયે બહારવટિયા તરીકે ઓળખાતા ખાપરા અને કોડિયા ઉપરકોટ તેમજ અહીં આવેલી બૌદ્ધ ગુફામાં સંતાઈને રહેતા હતા, જેના કારણે આ ગુફાઓ ખાપરા કોડિયાની ગુફા તરીકે આજે પણ ઓળખાય છે. ખાપરા અને કોડિયા નામના બે બહારવટિયાને રા. માંડલીક અને નરસિંહ મહેતાના સમકાલીન પણ માનવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારો આ ગુફાને જૂનાગઢના ચુડાસમા શાસક રા ખેંગારના નામ સાથે જોડીને આ ગુફાઓને ખેંગાર મહેલ તરીકે પણ ઓળખે છે. આ જ ગુફામાં જે તે સમયે સાધુ સન્યાસીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ગુફાઓ પણ જોવા મળે છે.

બાવાપ્યારાની ગુફા: બાવાપ્યારાની ગુફા પુરાતત્વવિદ સર જેમ્સ બર્ગેસે શોધેલી છે. તેઓના નિરીક્ષણ બાદ બાવાપ્યારાની ગુફા પ્રારંભના સમયમાં બૌદ્ધ ભિક્ષુક અને જૈન મુનિનું નિવાસસ્થાન હશે તેવું તેમના દ્વારા નોંધવામાં આવ્યું છે. આ ગુફાની નજીક બાબા પ્યારેનો મઠ પણ આવેલ છે જેમાં આ બાવાપ્યારાની ગુફામાં જૈન તીર્થંકરના લાંછન અંકિત થયેલા છે. આ ગુફામાં પહેલી હરોળમાં ચાર અને બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ ગુફાઓ મળીને 16 ગુફાના એક સમૂહ તરીકે બાબા પ્યારેની ગુફા બનાવવામાં આવી હતી. બાવાપ્યારાની ત્રણેય હરોળની ગુફા એકબીજાને કાટખૂણે બનાવવામાં આવી છે. આ ગુફામાં ચૈત્ય અને વિહાર જોવા મળે છે, જેના સ્તંભો અને દરવાજા પર સાતવાહનકાળની કલાનો નમૂનો પણ જોઈ શકાય છે. 45 મીટર ઊંચી આ ગુફાના ત્રણ માળમાં 13 ખંડો જોવા મળે છે.

ઉપરકોટમાં આવેલી ગુફા: ઉપરકોટમાં આવેલી ગુફા આજે બૌદ્ધ ગુફા તરીકે ઓળખવામાં આવે છે. ઈ.સ. બીજી કે ત્રીજી સદીમાં બૌદ્ધ ગુફાઓનું નિર્માણ થયું હશે તેવું માનવામાં આવે છે. ઉપરકોટની બૌદ્ધ ગુફાઓના બાંધકામ પર સાતવાહન સ્થાપત્યોની અસર સ્પષ્ટ જોઈ શકાય છે. આ ગુફાનું નિર્માણ પણ ત્રણ સ્તરીય કરવામાં આવ્યું છે જેમાં હવાની અવરજવર અને પાણીના સંગ્રહ માટે વિશેષ રચનાઓ કરવામાં આવી છે જેની પણ વર્ષ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે.

સોરઠ પંથકમાં આવેલ અન્ય ગુફા: પોરબંદરના રાણાવાવ નજીક આવેલી જાંબુવતીની ગુફા પણ ધાર્મિક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. લોકવાયકા અનુસાર જ્યારે શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણી ચોરવાનો આરોપ લાગ્યો હતો જેને ખોટો સાબિત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ મણિની શોધમાં આ ગુફા સુધી પહોંચ્યા હતા. જ્યાં જાંબુવન પાસે આ ચોરાયેલો મણી મળી આવેલ હોવાથી બંને વચ્ચે ભયંકર યુદ્ધ આ ગુફામાં થયું હતું. ત્યારથી આ ગુફાને જાંબુવંતી ગુફા તરીકે ઓળખવામાં આવે છે આ ગુફામાં જાંબુવને ભગવાન શ્રીકૃષ્ણની સાથે તેમની પુત્રી જાંબુવંતીના લગ્ન કરવાનો આગ્રહ કર્યો હતો અને આ ગુફામાં જ ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબુવંતીના લગ્ન થયા હતા જેથી આ ગુફાને જાંબુવંતીની ગુફા તરીકે ઓળખવામાં આવે છે.

તળાજા નજીક આવેલી ગુફા સમૂહ: ઈ.સ. ત્રીજી સદીમાં શેત્રુંજી નદીના મુખ પર તળાજાના ડુંગરમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી 30 ગુફાઓનો સમૂહ આવેલો છે. આ ગુફામાં પણ સભાખંડ ચૈત્ય સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. આ ગુફામાં એક મોટો પ્રવેશ દ્વાર જોવા મળે છે, અહીં ચૈત્ય ગુફામાં ઉત્તમ શિલ્પ સ્થાપત્ય બૌદ્ધ તત્વની કોતરણી એભલ મંડપ અને ચાર અષ્ટકોણીય સ્તંભો ધરાવતો એક મોટો હોલ જેવા મળે છે જે રીતે ઇલોરાની ગુફામાં હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મ સ્પષ્ટ રીતે જોવા મળે છે પણ બિલકુલ તેવી જ રીતે તળાજાના ડુંગર વિસ્તારમાં બનેલી આ ગુફાઓમાં હિન્દુ બૌદ્ધ અને જૈન એમ એમ ત્રણેય ધર્મના પવિત્ર સ્થાનકો આવેલા છે.


શાણા વાકિયાની ગુફાઓ: ઉના નજીક રૂપેણ નદીના કાંઠે આવેલા વાંકીયા ગામ નજીક શાણા ડુંગરોની કોથરોમાં મધપૂડાના આકારમાં 62 ગુફાઓનો એક સમૂહ જોવા મળે છે જેને શાણા વાકિયાની ગુફાઓ તરીકે ઇતિહાસમાં આજે પણ ઓળખવામાં આવે છે. આ ગુફાઓમાં ચૈત્ય અને વિહાર પ્રકારની ગુફાઓ જોવા મળે છે. અહીં પણ એભલ મંડપનો વિસ્તાર સૌથી મોટી ગુફા તરીકે જાણીતો છે. લોકવાયકા અનુસાર અહીં ભીમ અને હિડિંબાના લગ્ન થયા હોવાનું પણ માનવામાં આવે છે. શાણાના ડુંગર પર ભીમની ચોરી અને ચાર મઢવાળી માતાનું મંદિર આજે પણ આ ગુફાના ઇતિહાસ સાથે જોડાયેલું છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલી અન્ય ગુફાઓ: સોરઠ પ્રદેશ ગુફાઓના સમૃદ્ધ વારસા તરીકે આજે પણ અડીખમ ઇતિહાસ ધરાવે છે. બિલકુલ તેવી જ રીતે રાજકોટના ગોંડલ તાલુકાના ખંભાલિડા ગામમાં આવેલી ખંભાલિડાની ગુફા, રાજકોટના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં આવેલી ઝીંઝુરીઝરની ગુફા, કચ્છના લખપત તાલુકામાં આવેલી સિયોત ની ગુફાઓ મહેસાણા જિલ્લાના સતલાસણામાં આવેલી જોગીડા ની ગુફાઓ ભરૂચના ઝગડિયા અને નેત્રંગ તાલુકા વચ્ચે આવેલ કડિયા ડુંગરની ગુફાની સાથે જૂનાગઢમાં આવેલી પંચેશ્વરની ગુફા, જેતલપુરમાં આવેલી હોથલ પદમણીની ગુફા, દેશલપર કચ્છમાં આવેલી શૈલ ગુફા, પાટણમાં આવેલી આલેય પાટણની શૈલ ગુફા, દ્વારકામાં આવેલી ધીંગેશ્વર મહાદેવની ગુફા, જસદણ નજીક આવેલ ડીગથળોની ગુફાઓ, ચોટીલા નજીક ભીમોરાની ગુફા, પ્રભાસ પાટણ નજીક ધોળેશ્વર બૌદ્ધ ગુફાઓ અને પંચમહાલમાં આવેલ તારસાંગની ગુફા સમગ્ર સોરઠ અને ગુજરાતના સમૃદ્ધ વારસાનું પ્રતિનિધિત્વ કરતા આજે પણ જોવા મળે છે.

આ પણ વાંચો: