ડભોઈ, વડોદરા: હાલ હિન્દુ શાસ્ત્ર મુજબ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, ત્યારે પિતૃઓને મોક્ષ આપવા માટે ભારતમાંથી દૂર દૂરથી લોકો નર્મદા કિનારે આવતા હોય છે, ત્યારે ગઈકાલે 21 એપ્રિલ સોમવારના રોજ વડોદરા જિલ્લાના ચાંદોદ નર્મદા કિનારે અમરેલીનો એક પરિવાર પંચબલીની વીધી કરવા માટે આવ્યો હતો. પરિવારના એક સભ્ય નદીમાં નાહવા જતાં લાપતા થયો હતો જેને પગલે પરિવારના સભ્યો ચિંતિત થઈ ગયાં હતાં અને ઘટના અંગે ચાંદોદ પોલીસને જાણ કરતાં પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી હતી.
વિધિ કરવા આવેલા એક પરિવારનો દિકરો નદીમાં ડૂબ્યો
નદીમાં સ્નાન દરમિયાન ડૂબી ગયા હોવાની જાણ થતા સ્થાનિક તરવૈયા તથા ફાયર બ્રિગેડની ટીમ આ યુવકને શોધવા માટે કામે લાગી હતી. વડોદરા જીલ્લાના તિર્થસ્થાન ચાંદોદ ખાતે અમરેલીની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિજયભાઇ બાબુભાઇ રાઠોડ તેમની પત્ની, માતા-પિતા અને ભાઇ સહિત પરિવાર સાથે ચાંદોદ પંચબલીની વિધી કરાવવા માટે આવ્યા હતા. ત્રણ દિવસની વિધિ હોવાથી પરિવાર ચાંદોદમાં કપલેશ્વર બજારમાં એક હોટલમાં રોકાયા હતા. ત્યારે પંચબલી વિધીનો અંતિમ દિવસ હતો.જે દરમિયાન વહેલી સવારે પરિવારના 43 વર્ષિય વિજયભાઇ રાઠોડ કપલેશ્વર ઘાટ ઉપર નદીમાં નાહવા માટે ગયા હતા જ્યાં તેઓ પાણીમાં ડૂબી જતાં લાપતા થયા હતા.
ચાંદોદ પોલીસને મળેલ માહિતી મુજબ ધાર્મિક વિધિ માટે આવેલા અમરેલીના પરિવારના વિજયભાઇ રાઠોડ નદીમાં લાપતા થતા શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તરવૈયાઓને સફળતા ન મળતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.