ઉમરપાડા: આદિવાસી સમાજ પુરાતનકાળથી પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ છે. તેની સંસ્કૃતિ જ અલગ ભાત પાડે છે. આપણા દેશમાં અનેક પ્રકારના સમુદાયો વસે છે અને પોતપોતાના પ્રસંગો, વિવિધ રીતિ-રિવાજોથી જોડાયેલા છે. સૌ માટે લગ્ન-પ્રસંગ અનેરી ખુશીઓનો પ્રસંગ હોય છે. તાજેતરમાં ઉમરપાડા તાલુકાના ટાવલ ગામ અને ડેડિયાપાડા તાલુકાના ચુલી ગામના આદિવાસી કુટુંબે અને અનોખો દાખલો બેસાડયો છે. દીકરીના પિતાએ દહેજને તિલાજંલિ આપતા નવ ગુલાબના ફૂલ સાથે દીકરીને વિદાય કરી અને વરપક્ષે પણ સહર્ષ સ્વકારી લીધી.
લગ્નમાં દહેજની કુપ્રથા પર અંકુશ
રાજ્યમાં જિલ્લા અને સમાજ અનુસાર અલગ-અલગ પ્રથાઓ છે. જેમાં દહેજ આપવા-લેવાની કુપ્રથા પણ જોવા મળે છે. મજબૂર-લાચાર પિતાએ વર પક્ષને મોં માંગી રકમ અને ચીજ વસ્તુઓ આપવી પડતી હોય છે. ત્યારે ખારા જળમાં મીઠી વિરડી સમાન કેટલાક એવા પણ જાગૃત્ત લોકો હોય છે જે નવો ચીલો ચાતરે છે અને સમાજને દીવા દાંડી બતાવે છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમાજમાં ઘણા પરિવારો સમાજને દિશા ચીંધી રહ્યા છે. ડેડીયાપાડા તાલુકાના ચુલી ગામના વતની વિદેશીંગભાઇ રામસિંગભાઈ વસાવાની સુપુત્રી જશોદા તેમજ ઉમરપાડા તાલુકાના ટાવલ ગામના વતની ગુરજીભાઈના સુપુત્ર જિજ્ઞેશ એકબીજા સાથે પ્રેમસંબંધમાં જોડાયા હતા. ત્યારબાદ બંને પરિવારો દ્વારા રાજીખુશીથી ઉમરપાડા તાલુકાના ટાવલ ગામે દાવો રાખવામાં આવ્યો હતો.

9 ગુલાબના ફૂલ સાથે દીકરીની વળાવી
બંને પક્ષના ભાઈઓ-બહેનો, ગ્રામજનો તેમજ દાવો કરતા વડીલો, પંચોની સાક્ષીમાં કન્યાના પિતાએ ફક્ત નવ ગુલાબના ફૂલ દહેજ (દાવામાં) લઈને પોતાના પુત્રીને જમાઈના હાથમાં દાન કરી (સોંપી) હતી. આદિવાસી સમાજમાં આ દાવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે. ઘણી વાર નવ આના કે 9 રૂપિયા લઈને કન્યાનું દાન કરવામાં આવે છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના આદિવાસી પરિવારે માત્ર 9 ગુલાબના ફૂલ લઈને પોતાની પુત્રીને સાસરે વળાવી હતી. જેમાં વરપક્ષે પણ દહેજ વિના રાજીખુશીથી કન્યાઓને સ્વીકારી હતી.

આ પણ વાંચો: