ભાવનગર : મનુષ્ય મનુષ્યની ભાષા સમજે છે, પરંતુ મનુષ્યની ભાષા જો પક્ષીઓ સમજવા લાગે તો સમજવું કે સંબંધ આત્માનો છે. ભાવનગર શહેરમાં છેલ્લા એક દાયકાથી એક મોર રોજ સાંજે એક શિક્ષકના હાથેથી પેટીયું ભરે છે. આ શિક્ષક એક દિવસ પણ આવ્યા ના હોય તો આ મોર અન્ય વ્યક્તિના હાથે ચણ ચણતો નથી. જુઓ શિક્ષક અને મોરની અનોખી મિત્રતાનો સંબંધ...
મનુષ્ય અને પક્ષીની અનોખી મૈત્રી : ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળમાં વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ ભડીયાદ્રાના ઘરે એક મોર તેમની રોજ રાહ જુએ છે. હિતેશભાઈ ધોરણ 11-12 માં એકાઉન્ટના શિક્ષક છે. હિતેશભાઈ સાંજે ઘરે આવે ત્યારે મોર તેની રાહમાં બેઠો હોય છે. હિતેશભાઈએ જણાવ્યું કે, હું ઘણા વર્ષોથી મોરને ચણ ખવડાવું છું. આ વિસ્તારમાં પહેલા 12 થી 15 મોર હતા. અહીંયા મકાનો ચણાતા ગયા અને અવાજ-પ્રદૂષણને પગલે મોરની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ.
માત્ર હિતેશભાઈના હાથે ચણ ચણતો મોર : શિક્ષક હિતેશભાઈએ જણાવ્યું કે, હું સાંજે 5:30 વાગ્યે સ્કૂલથી આવું એટલે મોર આવી ગયો હોય. તે જાણે મારી રાહ જોતો હોય તેવું લાગે છે. તેને ઠંડી કોબી અને સીંગદાણા ખૂબ ભાવે છે. હું મારા હાથથી તેને ખવડાવું છું, જોકે ક્યારેય પણ મને કોઈ નુકસાન કે ચાંચ પણ વાગી નથી. વર્ષ 2011 થી હિતેશભાઈ શહેરની મધ્યમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં રહેવા ગયા છે.

હિતેશભાઈ ન આવ્યા હોય તો શું થાય...
આમ તો લોકો શ્વાન, ગાય જેવા પ્રાણીઓ તેમજ કબુતર, ચકલી વગેરેને દાણા નાખીને દાન-પુણ્ય કરતા હોય છે. પરંતુ હિતેશભાઈનો મોર સાથેનો સંબંધ મિત્રતા જેવો છે. હિતેશભાઈએ જણાવ્યું કે, ઘણીવાર એવું બને કે હું ન આવ્યો હોય તો મારા પરિવારના લોકો તેને ચણ આપવા જાય છે. પરંતુ મોર અન્યના હાથથી થોડું ચણીને જતો રહે છે. હિતેશભાઈ સાંજે નોકરીથી આવીને પહેલા મોરને ખવડાવે છે અને મોર પણ પ્રેમપૂર્વક તેમના હાથથી ચણે છે.