અમદાવાદ: 29 જૂન અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ યાત્રા નીકળવાની છે. જે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે અને આ વર્ષે સરસપુર ખાતે ભગવાન જગન્નાથના મોસાળમાં મામેરાના યજમાન તરીકે વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતીબેન મનીષભાઈ ત્રિવેદીને લાભ મળ્યો છે. તેમના દ્વારા દર વર્ષ કરતા અલગ રીતે મામેરાનું આયોજન કરવામાં આવશે. એવી જાહેરાત કરવામાં આવી છે.
મામેરા માટે 9 વર્ષ બાદ ડ્રોમાં નામ નીકળ્યું
આ અંગે મામેરાના યજમાન એવા મનીષભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરસપુર ખાતે દર વર્ષે મામેરાનું આયોજન કરવામાં આવતું હોય છે. તેને કરતા આ વર્ષે થોડું અલગ રીતે મામેરાનું આયોજન કરવામાં આવશે. છેલ્લા 9 વર્ષથી અમે રાહ જોતા હતા તે અમારા ભાગ્યમાં આવ્યું છે. જેના લીધે અમે ખૂબ જ ખુશ છીએ. આ વર્ષે સારામાં સારું મામેરુ કરીશું એવી ભાવના છે. અમારા ત્યાં કથા હતી અને રામજીની પોથીમાં અમને સમાચાર મળ્યા કે મામેરાના ડ્રોમાં અમારું નામ ખુલ્યું છે. ત્યારે જ અમારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. અને એક કલાક અમારું આંસુ રોકાયા ન હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રિવેદી પરિવારની બહેનો, દીકરીઓએ નક્કી કર્યું છે કે આ વર્ષે ક્યારેક કોઈએ ના કર્યું હોય તેવું હટકે મામેરું અમે કરીશું અને આવતીકાલે 15 એપ્રિલથી મામેરાની તૈયારી શરૂ કરવામાં આવશે.
'મામેરા માટે 4 દિવસનો કાર્યક્રમ રખાશે'
મામેરાના યજમાન જાગૃતીબેન ત્રિવેદીએ આ અંગે જણાવ્યું હતું કે, ભગવાનનું મામેરું કરવાનો અમને મોકો મળ્યો છે. આપણા ભાણીયાનો પ્રસંગ છે. આપણા ભાણીયાનો પ્રસંગ હોય એ હરખ હોય તો આ તો જગતના નાથનો પ્રસંગ છે. એટલે અમે સોના-ચાંદીના દાગીના, વાઘા, અલગ થીમ પ્રમાણેનું મામેરું કરીશું. મામેરાના વસ્ત્ર, આભૂષણ સહિતની વસ્તુઓ લોકો દર્શન કરી શકે તેના માટે ચાર દિવસનો કાર્યક્રમ પણ અમારા વાસણા ખાતે આવેલા ઘરે રાખવામાં આવશે. અને જાહેર જનતા અને ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે કાર્યક્રમ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 6 એપ્રિલ રામનવમીના દિવસે ભગવાન જગન્નાથના મામેરા માટે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ડ્રોનો આયોજન કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળી અને એક દીકરીના હાથે ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને યજમાન બનાવવાનો મોકો મળ્યો છે. 148 મી રથયાત્રામા મામેરું કરવા માટે 6 જેટલા યજમાનો દ્વારા નામ નોંધવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: