તાપી: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે ઈસાઈ સમુદાયના પ્રચારકો જાહેરમાં ધર્મનો પ્રચાર કરતા વિવાદ સર્જાયો છે. જેમાં પ્રચારકોને અટકાવી સ્થાનિક લોકો દ્વારા ઉઘડો લેવામાં આવ્યો હતો. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક આગેવાનો અને ઈસાઈ સમુદાયના આગેવાનો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
તાપી જિલ્લાના સોનગઢ નગરમાં અગાઉ ઈસાઈ ધર્મનો જાહેરમાં પ્રચાર કરતા કેટલાક પ્રચારકો નજરે પડતા સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. બાદમાં ફરી અંદાજે 5 મહિના બાદ ઉકાઈ ખાતે જાહેરમાં ઈસાઈ ધર્મનો પ્રચાર કરી ઘરે ઘરે પેમ્પલેટ આપતા સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. બાદમાં પ્રચારકોનો ઉઘડો લેવામાં આવ્યો હતો. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બનાવને લઈ સ્થાનિક તંત્રનું પણ સૂચક મૌન રહેતા સ્થાનિકો દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
જાહેરમાં ધર્મનો પ્રચાર કરવા નીકળેલા લોકો સાથેના વિવાદમાં ઈસાઈ સમુદાયના આગેવાન અને હિંદુ સંગઠનના આગેવાન દ્વારા પ્રતિક્રિયા આપવા આવી હતી. જેમાં ઈસાઈ સમુદાયના પ્રચારકો દ્વારા ઉકાઇના પાથરડા વિસ્તારમાં ફરીને હિન્દુઓના ઘરે જઈને તેમને એક પત્રિકા આપવામાં આવતી હતી. અગાઉ પણ આજ ટોળકી દ્વારા સોનગઢમાં જાહેરમાં બજારમાં પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. તે સમયે પણ સોનગઢ ના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આજ ટોળકીને ત્યાંથી ભગાવી મુકવામાં આવી હતી.
હિંદુ સંગઠનના આગેવાન રાકેશ ગામીતે જણાવ્યું હતું કે, આ પત્રિકામાં જે ભ્રમિક વાતો લખવામાં આવી છે તેના દ્વારા કોઈ પણ વય માનુષ પર અસર થાય અને તે ધર્માંતરણ કરી લેતો હોય છે. સાથે તેમને જણાવ્યું હતું કે, દેશના કોઈ પણ ધર્મના લોકો તેમના ધર્મનો પ્રચાર કરી શકે છે પરંતુ તે ભારતીય ધર્મ હોવો જોઈએ અને ઈસાઈ ધર્મ ભારતીય નથી. જેથી પ્રચાર કરવો હોય તો કલેકટરની મંજૂરી લેવી પડે. તેવુ હિંદુ સમુદાયના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તો બીજી તરફ સમગ્ર મામલાને લઈને ઈસાઈ સમુદાયના આગેવાન દિપક ગામીતને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના વિશે વધુ માહિતી નથી. પરંતુ આપણો ભારત દેશએ બિન સાંપ્રદાયિક દેશ છે. જેથી દરેક સમાજ કે ધર્મના લોકો પોતાના ધર્મનો પ્રચાર કરી શકે છે. અને લોભ લાલચમાં આજે કોઈ પોતાનું ધર્મ બદલતું નથી. તેવું તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: