તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ; નદી-નાળાઓમાં પાણીની આવક થતા 23 લો લેવલ પુલ બંધ કરાયા
તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે 23 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

Published : September 7, 2025 at 3:39 PM IST
તાપી : જિલ્લામાં સવારથી જ અવિરત વરસાદી માહોલ સર્જાયો છે. વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ તાલુકા સહિત અનેક વિસ્તારોમાં વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક વધી રહી છે. જેના પગલે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોની અવરજવર પર અસર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે 23 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં સવારથી જ વરસાદી ઝાપટાં પડતાં ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. ખાસ કરીને વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ તાલુકામાં વરસાદી માહોલ વધુ રહ્યો છે. સતત વરસતા વરસાદને કારણે નદી કોતરમાં પાણીનો સ્તર વધી રહ્યો છે અને નદીમાં કોતરમાં પાણીની ભારે આવક નોંધાઈ છે.
આ પરિસ્થિતિને કારણે અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની અવરજવર મુશ્કેલ બની છે. અનેક ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે અને લોકોને તેમના રોજિંદા કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
23 જેટલા રસ્તાઓ બંધ : જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓમાં ભારે વરસાદને કારણે નુકસાન થવાની શક્યતાઓને જોતા તંત્ર સજાગ બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે જિલ્લામાં કુલ 23 જેટલા રસ્તાઓને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવાયા છે.

વરસાદી માહોલને કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ખેતીને ફાયદો થવાની શક્યતા છે તો કેટલીક જગ્યાએ પાકને નુકસાન થવાની ચિંતાઓ વ્યકત થઈ રહી છે.

તંત્ર દ્વારા સતત નદી-નાળાઓ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે સાથે નાગરિકોને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે. લોકોને કોઈપણ પ્રકારની જોખમભરી અવરજવર ન કરવા તથા વરસાદી માહોલમાં સુરક્ષિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ વરસાદી માહોલને કારણે જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો :

