સુરત: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ કામદાર ગંભીર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉદ્યોગમાં 10થી 12 લાખ લોકોને રોજગારી મળે છે. હાલમાં લગ્નસરાની સિઝન દરમિયાન માર્કેટમાં તેજી છે. પરંતુ હોળી પર વતન ગયેલા પરપ્રાંતિય કામદારો પરત ન ફરતા સમસ્યા સર્જાઈ છે. બીજી બાજુ આપ જાણો છો કે સુરતમાં ડાયમંડ બિઝનેસને લઈને પણ ચિંતાના વાદળો છે. સુરતના રત્નકલાકારોને હમણાં જ લાંબા સમયનું વેકેશન આપી દેવાયું હતું.
હાલ ટેક્સટાઈલ બિઝનેસની વાત કરીએ તો અંદાજે 1.5 લાખથી વધુ કામદારોની અછત વર્તાઈ છે. ડાઈંગ, પ્રોસેસિંગ મિલથી લઈને હમાલી કામ સુધી દરેક ક્ષેત્રમાં કામદારોની જરૂર છે. મોટાભાગના કામદારો યુપી, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનથી આવે છે. પાર્સલ, કટિંગ અને પોટલા ઊંચકવાના કામમાં 25 ટકા જેટલી કામદારોની ઘટ છે.

મનરેગા યોજના હેઠળ કામદારોને તેમના વતનમાં 125 દિવસનું કામ અને દૈનિક 400 રૂપિયા વેતન મળે છે. આ કારણે તેઓ સુરત પરત ફરવાનું ટાળે છે. વળી, ખેતીનું કામ અને લગ્નસરાનો સમય હોવાથી પણ કામદારો પરત ફરતા નથી.

ટેક્સટાઇલ વેપારી રમેશભાઈ જણાવ્યું કે, એપ્રિલ, મે અને જૂન મહિનામાં છેલ્લા બે ત્રણ વર્ષથી ભારે મુશ્કેલી કામદારોને લઈને થઈ રહી છે. અત્યારે તેજીના માહોલમાં અમને સતત ઓર્ડર મળતા હોય છે અને તે માલને ડિસ્પેચ કરવા માટે લેબર્સની ખૂબ જરૂર પડે છે. અમારી પોતાની ડાઈંગ પ્રોસેસિંગ મિલો છે અને ત્યાં પણ પ્રોડક્શનમાં કામદારો મળતા ન હોવાને કારણે પ્રોડક્શન ઉપર પણ મોટી અસર થઈ રહે છે. કામદારોનો પ્રશ્ન હાલ આખા માર્કેટમાં જોવા મળી રહ્યો છે. જે પ્રકારે ડિમાન્ડ દેશભરમાં જોવા મળે છે, તેની સામે કામદારો ન હોવાને કારણે મેન્યુફેક્ચરિંગ પણ ઓછું થાય છે. જે માલનું ઉત્પાદન થઈ ગયું હોય તે ડિમાન્ડ પ્રમાણે સમયસર તેનું ડિસ્પેચિંગનું કામ પણ યોગ્ય રીતે થતું નથી.