સુરતમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી પર SOGના દરોડા, ભોપાલથી કેમિકલ-અમદાવાદથી પેકિંગના ડબ્બા લાવતા
સુરતમાં કેમિકલયુક્ત ઘી બનાવતી 3 ફેક્ટરીઓ પર SOGના દરોડા પડ્યા હતા. જેમાં ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો હતો.

Published : October 6, 2025 at 12:26 PM IST
|Updated : October 6, 2025 at 12:49 PM IST
સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં ફૂડ સેફ્ટી અને ગુણવત્તાના કાયદાનું ઉલ્લંઘન કરતું એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ ગાય-ભેંસના 'ચોખ્ખા ઘી'ના નામે કેમિકલનો ઉપયોગ કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ અને ત્રણ ગોડાઉનો પર દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનમાં પોલીસે ₹67 લાખનું નકલી ઘી અને મશીનરી સહિત કુલ ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
4 આરોપીઓની ધરપકડ, 10 સેલ્સમેનની શોધખોળ
ઝડપાયેલા આરોપીઓમાં જયેશ રમેશચંદ્ર મૈસુરીયા, અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશ મૈસુરીયા અને દિનેશ તેજાજી ગેહલોતનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, નકલી ઘી બનાવવા માટેનો રો-મટીરીયલ જથ્થો આરોપીઓ ભોપાલથી લાવતા હતા. ચુલા સાથેની 2000 લિટરની ટાંકી સચિન જીઆઈડીસીમાંથી સેકન્ડમાં લીધી હતી, જ્યારે પેકેજિંગના ડબ્બા અમદાવાદ જીઆઈડીસીમાંથી મેળવતા હતા.
મુખ્ય આરોપી જયેશે છ, અને અંકિત, સુમિત તેમજ દિનેશે બબ્બે સેલ્સમેન રાખ્યા હતા. આ 10 સેલ્સમેન બજારમાં આ નકલી ઘીનું વિતરણ કરતા હતા, જેને ઝડપી પાડવા માટે SOG દ્વારા સઘન કવાયત શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Gujaratના સમાચાર વોટ્સઅપમાં મેળવવા માટે અહીં ક્લિક કરો
ભાડેના મકાનોમાં ધમધમતી હતી ગેરકાયદે ફેક્ટરીઓ
આરોપીઓએ નકલી ઘી બનાવવા માટે અમરોલીના જુદા જુદા વિસ્તારમાં ફેક્ટરીઓ અને ગોડાઉનો ભાડે રાખ્યા હતા. જયેશ મૈસુરીયાએ કોસાડ સરદાર નગર ખાતે માધવ ડેરી પ્રોડક્ટના નામે ફેક્ટરી શરૂ કરી હતી. તેણે એકાદ કિલોમીટર દૂર પ્રમુખ હાઇટ્સમાં ₹25000 ભાડે દુકાન રાખી સ્ટોક રાખતો હતો. જ્યારે ફેક્ટરીનું ભાડું ₹50,000 ચૂકવતો હતો. અંકિત પંચીવાલાએ અમરોલી ભરથાણાના પ્રગતિ ઈકોપાર્કમાં ન્યૂ આદીનાથ ડેરી પ્રોડક્ટના નામે ₹40,000 ભાડામાં ફેક્ટરી ખોલી હતી. રો-મટીરીયલ અને સ્ટોક માટે તેણે કોસાડના વેદાંત ટેક્સોમાં ₹21000ના ભાડામાં ત્રણ દુકાનો ભાડે લીધી હતી. સુમિત અને દિનેશ ભાગીદારીમાં અમરોલીના ઈવા ઈમ્બ્રો પાર્કમાં ત્રીજી ફેક્ટરી ચલાવતા હતા. પોલીસે આ તમામ આરોપીઓના સંપર્કમાં રહેલી વ્યક્તિઓની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

સુરત-મહારાષ્ટ્રમાં જતા નકલી ઘીનો જથ્થો
110 ગ્રાહકોનાં નામ ડાયરીમાંથી મળ્યાં છે અને જથ્થો મહારાષ્ટ્ર પણ જતો હતો. ઝડપાયેલા આરોપીઓ પાસેથી હિસાબની ડાયરીઓ મળી આવી છે, જેમાંથી નકલી ઘી લેતી દુકાનો અને ડેરીવાળાઓના નામોનો ખુલાસો થયો છે. સુરતના મુખ્યત્વે શ્રમ વિસ્તારોમાં આવેલા 110 જેટલા દુકાનદારો અને ડેરીવાળાઓને આ નકલી ઘી પધરાવવામાં આવતું હતું. એટલું જ નહીં, આ નકલી ઘીનો મોટો જથ્થો મહારાષ્ટ્રના નંદૂરબાર અને ધુલિયા જેવા વિસ્તારોમાં પણ મોકલવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ દ્વારા ફૂડ વિભાગને સાથે રાખીને આ તમામ
દુકાનો અને ડેરીઓ પર પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે. અખાદ્ય પદાર્થોનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

