સુરત : છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોને અટકાવવા સુરત પોલીસ કમિશનર દ્વારા એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સુરત પોલીસે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. જાણો સમગ્ર વિગત...
સુરતમાં આત્મહત્યાના વધતા બનાવ : સુરત શહેરમાં છેલ્લા પાંચ વર્ષોથી આપઘાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આપઘાત શા માટે થઈ રહ્યા છે? તેની પાછળનું વિશેષ કારણ શું હોઈ શકે? આવા તમામ પ્રશ્નોને લઈને બે મહિના પહેલા સુરત પોલીસ કમિશનર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
આત્મહત્યા નિવારવા અભિયાન : આ બાબતે બે DCP ની એક ટીમ બનાવવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ, પોલીસ રેકોર્ડમાંથી આપઘાતના બનાવની માહિતી મંગાવવામાં આવી અને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે આધારે સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1,866 જેટલા આત્મહત્યાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જે સુરત શહેર માટે ચિંતાજનક આંકડો કહી શકાય છે.
આત્મહત્યાના કેસ ચિંતાજનક આંકડા : આ બાબતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સુરત શહેરમાં બની રહેલા આપઘાતના કેસોને અટકાવવા માટે બે DCP ની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા પણ આપઘાતના બનાવો બન્યા છે, તેનો રેકોર્ડ મેળવી અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1,866 જેટલા આત્મહત્યાના કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
કયા કિસ્સામાં બન્યા આત્મહત્યાના બનાવ ? કુલ કેસમાં પારિવારિક સમસ્યાથી 492 લોકોએ આત્મહત્યા કરી, બીમારીઓથી કંટાળીને 452 લોકોએ આત્મહત્યા કરી, વ્યાજ દેવું વધી જતા 355 લોકોએ આત્મહત્યા કરી, પ્રેમ પ્રકરણમાં 104 લોકોએ આત્મહત્યા કરી, ડિપ્રેશનના કારણે 218 લોકોએ આત્મહત્યા કરી છે. આ ઉપરાંત બ્લેકમેલના કારણે 37 લોકોએ આત્મહત્યા કરી અને અભ્યાસમાં સફળતા ન મળતા 200 લોકોએ આત્મહત્યા કરી છે.
આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર...
સુરત પોલીસે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. જેમાં 100 નંબર તો છે જ પરંતુ હવે લોકોને આત્મહત્યાનો વિચાર આવે તો તાત્કાલિક ધોરણે 8128369100 અને 8128308100 આ બંને નંબર ઉપર ફોન 24 કલાક કાર્યરત રહેશે. આ ફોન નંબર ઉપર પોલીસ કોન્સ્ટેબલ અને તેમની સાથે કાઉન્સિલર પણ હશે. જે કોલ મેળવી જે તે સ્થાન ઉપર પહોંચી સમસ્યાનું નિવારણ કરશે. આ સુરત પોલીસ દ્વારા આત્મહત્યા રોકવા માટેનો પ્રયાસ છે.