સુરત : છેલ્લા કેટલાક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુરત શહેર પોલીસે વિશેષ અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન હેઠળ વર્ષ 2024માં 354 અને 2025માં 90 એવા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ છેલ્લા 10 વર્ષથી ફરાર હતા.
સુરતમાંથી ફરાર આરોપીઓ : આ આરોપીઓ હત્યા, લૂંટ, છેતરપિંડી અને ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા. પોલીસ માટે આ કામગીરી ખૂબ પડકારજનક હતી. કારણ કે સમય સાથે આરોપીઓના ચહેરા, શરીરનું કદ અને રહેણીકરણીમાં ઘણો બદલાવ આવી ગયો હતો. કેટલાક આરોપીઓએ તો પોતાનું નામ અને સરનામું પણ બદલી નાખ્યું હતું.
પોલીસ આરોપીના જૂના રેકોર્ડ, ફોટોગ્રાફ્સ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ કરે છે. ઘણા આરોપીઓએ લગ્ન કરી લીધા હતા અને અલગ શહેરમાં વસવાટ કરતા હતા. પોલીસ તેમના વતનમાં જઈને વારંવાર તપાસ કરતી હતી.
કેમ ફરાર થવામાં સફળ રહ્યા આરોપી ? સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ, સુરતની 90 લાખની વસ્તીમાં 26 રાજ્યોના લોકો રહે છે. અડધી વસ્તી અન્ય રાજ્યોથી આવેલા લોકોની છે. આરોપીઓ ગુનો કરીને પોતાના વતન ભાગી જતા હોવાથી તેમને શોધવાનું કામ મુશ્કેલ બને છે. આમ છતાં, કોન્સ્ટેબલથી લઈને સિનિયર અધિકારીઓ સુધી તમામ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
બે વર્ષમાં બોલાવ્યો સપાટો : સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે, વર્ષ 2024 માં કુલ 354 જેટલા નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જે છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી ગુનો આચરી ફરાર હતા. જ્યારે વર્ષ 2025 ની વાત કરવામાં આવે, તો 90 જેટલા આરોપી, જે દસ વર્ષથી વધુ સમયથી ફરાર હતા, તેમની ધરપકડ કરવામાં આવી છે.
10 વર્ષ બાદ પણ કેવી રીતે આરોપીઓને પકડી પાડ્યા...
આવા આરોપીની ધરપકડ કરવા માટે અમે લાલ સહિથી રજીસ્ટરમાં નામ લખીએ છીએ. આ નાસતા ફરતા લોકોની યાદી બનાવવામાં આવે છે. આરોપીની ધરપકડ કરવા માટે દર વખતે અમે રિવ્યૂ પણ કરતા હોઈએ છીએ. બ્રાન્ચની ટીમ એક તરફ રિવ્યૂ કરે છે, ત્યારે બીજી તરફ દરેક પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે રિવ્યૂ કરવામાં આવે છે. આરોપીઓ 10 વર્ષ પહેલા કેવા દેખાતા હતા, તેવા હુલિયાથી વર્ષો બાદ આ લોકો કઈ રીતે દેખાતા હશે, આ તમામ પાસાને ધ્યાનમાં રાખી, સંયોગિક પુરાવાના આધારે તપાસ કરવામાં આવે છે.