સુરત : પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. પાંચ વર્ષીય બાળકીને એક નરાધમે અવાવરું જગ્યા પર લઈ જઈ બળાત્કાર ગુજારવાની કોશિશ કરી હતી. આ સમયે બાળકીએ તેનો પ્રતિકાર કરતા નરાધમે બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાની જાણ થતાં હરકતમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
પાંચ વર્ષીય બાળકી થઈ ગુમ : પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાંકાનેડા ગામે આવેલા રાધા-રાણી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતીય શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી રવિવારે તેના ઘરની સામે રમી રહી હતી. તે સમયે તેના પિતા મિલમાં કામ કરવા નીકળ્યા હતા. જ્યારે એક કલાક બાદ તેની માતાએ બહાર આવીને જોયું તો બાળકી ત્યાં મળી ન હતી. જેથી તેમણે આસપાસના વિસ્તારો તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી હતી, પરંતુ બાળકીની કોઈ ભાળ મળી ન હતી.
સ્થાનિક લોકો કરી ગંભીર વાત : આખરે આ અંગે કડોદરા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક બાળકીની શોધખોળ હાથ ધરી હતી. આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, બાજુમાં રહેતો મૂળ રાજસ્થાનના ગણપતલાલ ચંદ્રપ્રકાશને બાળકીને લઈ જતા સ્થાનિકોએ જોયો હતો. જે બાદ પોલીસે તપાસ કરતા નરાધમ નજીકમાં આવેલી નહેરમાં નહાઈ રહ્યો હતો.
ખેતરમાં મળ્યો બાળકીનો મૃતદેહ : પોલીસે આરોપીને દબોચી લઈ સઘન પૂછપરછ કરતા તેણે બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ નરાધમ ગણપતને સાથે રાખી તપાસ કરાતા ચલથાણ સુગરના પેસમડ પ્લાન્ટ તરફ જતા મુકેશસિંહ હમીરસિંહ રાણાના ખેતરમાં આવેલા આંબાના ઝાડ નીચેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો : આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે નરાધમે બાળકી પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કર્યો ત્યારે બાળકી તાબે ના થઈ. આખરે પકડાઈ જવાના ડરથી બાળકીના મોઢાના ભાગે પથ્થર વડે ઉપરાછાપરી ઘા મારી તેની હત્યા કરી હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.
પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન : આરોપીને કડકમાં કડક સજા મળે અને જરૂરી પુરાવા એકત્રિત કરવા માટે કડોદરા GIDC પોલીસે આરોપીને સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બાળકીને રહેંસી નાખનાર આરોપી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.