સુરત:બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી છે. સુરતના આંજણાથી ૧૩ બાળશ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યાં છે. આ બાળકોને એક કંપનીમાં કામ કરાવવામાં આવતું હતું.હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે શહેરના આંજણામાં ટોરેન્ટ પાવર સામે આવેલી મહેશ ઇન્ડસ્ટ્રીઝ એરિયા સ્થિત નિકિતા પોલી પ્લાસ્ટ ઇન્ડિયા નામની કંપનીમાં રેડ પાડી ૧૩ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા હતા.
આ બાળકો અહીં સીવણ મશીન અને પેકિંગનું કામ કરતા હતા. જેમાંથી ૩ બાળકો નેપાળના છે અને ૧૦ બાળકો ઉત્તરપ્રદેશના છે. ૧૩ બાળકોમાંથી ૫ બાળકો ૧૨ થી ૧૩ વર્ષનાં છે અને ૮ બાળકો ૧૬ થી ૧૭ વર્ષના છે. જેમને રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશ મુજબ વી.આર.પોપાવાલા બાલાશ્રમ-કતારગામમાં રાખવામાં આવ્યા છે.
આ કાર્યવાહીમાં શ્રમ અધિક્ષક, સહાયક શ્રમ અધિકારી, મનપાના કર્મચારીઓ અને અન્ય વિભાગોએ કાર્યવાહી કરી હતી. બાળકોના ડોકયુમેન્ટસ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી કરાશે એમ નાયબ શ્રમ આયુક્ત એ જણાવ્યું હતું.