રાજકોટઃ બુધવારના રોજ રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ ચાલક દ્વારા નવ જેટલા વાહનોને અડફેટે લેવામાં આવતા ચાર જેટલા નિર્દોષ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું. આ મામલામાં કોઈએ પરિવારનો એક માત્ર વ્યક્તિ ગુમાવ્યો તો કોઈ પૂત્રવધુ સાથે જતાં મોતને ભેટ્યું છે. મૃતકોની પણ એક કરુણ કહાની સામે આવી રહી છે.
મહાનગરપાલિકાની કચેરી ખાતે ભ્રષ્ટાચાર નાબૂદ કરો, ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. તો સાથે જ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સમગ્ર મામલે આવેદનપત્ર પાઠવીને મૃતકોના પરિવારજનોને 15 લાખ નહીં પરંતુ 50 લાખ રૂપિયા જેટલી રકમ વળતર પેટે ચૂકવવામાં આવે તેમજ વળતરની રકમ નાગરિકોના ટેક્સમાંથી નહીં પરંતુ મહાનગરપાલિકા પાસેથી સીટી બસનો કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની તેમજ એજન્સી પાસેથી વસૂલવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી.
તેમજ ભવિષ્યમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલી સીટી બસ અને બીઆરટીએસ સેવા સુચારૂ રૂપથી અસરકારક કામગીરી કરે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની, એજન્સી તેમજ સમગ્ર ઘટનામાં સામેલ ડ્રાઇવર સહિત જે કોઈ પણની જવાબદારી બનતી હશે તે તમામ વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે. અમારા દ્વારા કોઈને પણ છોડવામાં નહીં આવે. જેમની પણ જવાબદારી બનતી હશે તે તમામ વિરુદ્ધ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ ઉદાહરણ રૂપ કાર્યવાહી કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર સામે આર્થિક તેમજ અન્ય કાર્યવાહી ક્યા પ્રકારની થઈ શકે તે બાબતે સીટી બસ એજન્સી સાથે કરવામાં આવેલા કરારની વિગતો ચકાસવામાં આવી રહી છે. સીટી બસ મામલે ડિપોઝિટ જપ્ત કરવા સહિતની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવી રહી છે. એજન્સી ને વધુમાં વધુ આર્થિક દંડ કરી શકાય તે મામલે કરારની શરતો ચકાસવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્વિમિંગ પુલમાં જતા મહિલાનું મોત
મુતકોની કરુણ કહાની: કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ ગઈકાલે સવારે કાલાવડ રોડ પર શાંતિનિકેતન સોસાયટી શેરી નંબર-18થી પુત્રવધૂ નેહાબેન સાથે એકટીવામાં કાલાવડ રોડ પરના સ્વિમિંગ પૂલ જતા હતા. આ દરમિયાન તેમનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે.
કિરણબેનના પતિ ચંદ્રેશભાઇ ઇન્વેસ્ટમેન્ટનો બિઝનેસ કરે છે. તેમના પુત્રનું નામ જીત અને પુત્રીનું નામ માનસી છે. બેન્કમાં જતા આ યુવાનનું મોત થયું હતું.
ચિન્મય ઉર્ફે લાલો ભટ્ટ ઉ.વ 25, રાજકોટના હાથી ખાના વિસ્તારમાં રહે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે નોકરી કરતો હતો, ચિન્મયના પિતા હર્ષદભાઈનું 1 મહિના પહેલા જ મૃત્યુ થયું હતું. ચિન્મયના પિતા હર્ષદભાઈ નાગરિક બેંકમાં નોકરી કરતા હતા. મૃતક યુવાનના માતા અગાઉ જ મૃત્યુ પામ્યા હતા અને 1 દિવસ પહેલા પિતાનું મૃત્યુ અને આજે ભાઈનું મૃત્યુ થતાં બહેન ઉન્નતિબેન ભટ્ટ નોંધારા બન્યા છે.