સોમનાથમાં સૌથી મોટું ડિમોલેશન : ગેરકાયદેસર બાંધકામો પર 40 JCB ફરી વળ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - Somnath Mega demolition
સોમનાથ મંદિર નજીક વેરાવળથી સોમનાથ તરફ જતા માર્ગ પર વહેલી સવારથી મેગા ડિમોલેશન કામગીરી શરૂ થઈ છે. 1,500 થી વધુ પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે JCB મશીન અને ટ્રેકટરોને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામના દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.

Published : September 28, 2024 at 11:12 AM IST
|Updated : September 28, 2024 at 11:25 AM IST
ગીર સોમનાથ : જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ જિલ્લા પોલીસ વિભાગના 1,500 કરતા પણ વધુ પોલીસકર્મીઓ તથા 40 જેટલા JCB મશીન અને ટ્રેકટરોને સાથે રાખીને સોમનાથમાં વહેલી સવારથી સૌથી મોટી ડિમોલીશન કામગીરી શરૂ કરવામાં આવી છે.
સોમનાથમાં મેગા ડિમોલેશન : સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેગા ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોમનાથ તરફ જતા માર્ગ પર આવેલા દબાણને દૂર કરવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્રએ ચોક્કસ પગલાં લઈને દબાણ હટાવ કામગીરી શરૂ કરી છે, જે આજે દિવસ દરમિયાન ચાલે તેવી શક્યતા છે.
ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા : આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પોલીસ તંત્રને સાથે રાખી સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ સેન્ટ મેરી સ્કૂલની સામે સ્થિત દબાણરુપ ધાર્મિક સ્થળને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. સોમનાથ તરફ જતા માર્ગ પર કેટલાક વર્ષોથી આ દબાણ અસ્તિત્વ ધરાવતા હતા. જેને જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : દબાણ દૂર કરતી વખતે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ જિલ્લાના 1500 કરતાં વધારે પોલીસ કર્મચારી અને અધિકારીઓની હાજરીમાં દબાણ હટાવો કામગીરી શરૂ કરવામાં આવી છે.

વેરાવળ-સોમનાથ માર્ગ પર દબાણ : વેરાવળથી સોમનાથ તરફ જતા માર્ગ પર કબ્રસ્તાન નજીક પાછલા કેટલાક વર્ષોથી બાંધકામ અસ્તિત્વ ધરાવતું હતું. જેને આજે જિલ્લા વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી દૂર કર્યું છે. પાછલા એકાદ વર્ષથી વેરાવળ અને પ્રભાસ પાટણમાં સરકારી જમીન પર થયેલ દબાણનો સર્વે કરવામાં આવ્યો હતો. એક વર્ષ પૂર્વે કેટલાક વિસ્તારોમાંથી દબાણ દૂર પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે દબાણ હટાવવાનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.
તબક્કાવાર દબાણ હટાવ ઝુંબેશ : સરકારી અને ગૌચરની જમીન પર જો કોઈ દબાણ થયા અને તેના પર કોઈપણ વ્યક્તિ સમાજ કે સંગઠનની સાથે ટ્રસ્ટ ગેરકાયદેસર ભોગવટો ધરાવી રહ્યા હોય, આવા તમામ દબાણ એકમાત્ર માલિક સરકાર હસ્તક છે. સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા તમામ દબાણ પહેલા તબક્કામાં પણ દૂર કરવામાં આવ્યા હતા. હવે બીજા તબક્કાની કામગીરી અંતર્ગત આજે વહેલી સવારથી જ કોઈ ધર્મ, જાતિ કે કોમ પ્રત્યે દુષ્પ્રેરણા ન ફેલાય તે માટે ચોક્કસ પગલાં ભરીને દબાણ દૂર કરાઈ રહ્યા છે.
સેન્ટ મેરી સ્કૂલ સામે સ્થિત દબાણરુપ ધાર્મિક સ્થાન દૂર કરવાને લઈને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અથવા જિલ્લા કલેકટર ડી. ડી. જાડેજા માધ્યમોને દબાણ દૂર કરવાને લઈને વિગતો આપી શકે છે. હાલ દબાણ દૂર કરવાની કામગીરી બપોરના 12 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે.

