શ્રાવણ મહિનામાં મહાદેવને ખીર અર્પણ કરવાથી મનોકામના થશે પૂર્ણ, ભવનાથમાં શિવ ભક્તો માટે કરાયું આ આયોજન
દેવાધીદેવ મહાદેવને અતિપ્રિય એવા ખીરનો પ્રસાદ અર્પણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની પરંપરા શિવપુરાણ સાથે જોડાયેલા ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Published : July 26, 2025 at 9:47 AM IST
|Updated : July 26, 2025 at 11:52 AM IST
જુનાગઢ: ગઈકાલ 25 જૂલાઈ, શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે દેવાધીદેવ મહાદેવને અતિપ્રિય એવા ખીરનો પ્રસાદ અર્પણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થતી હોવાનું પરંપરા શિવપુરાણ સાથે જોડાયેલા ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તે મુજબ કોઈ પણ શિવ ભક્ત શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસાદ રૂપે ખીર અર્પણ કરવાની સાથે તેનો માત્ર પવિત્ર જળ અને બિલિપત્રથી અભિષેક કરવાથી પણ મહાદેવની કૃપા પ્રાપ્ત થતી હોય છે. વધુમાં કોઈપણ વ્યક્તિએ પોતાની મનોકામના સિદ્ધ થાય તે માટે નંદીના કાનમાં વ્યક્ત કરવાની હોય છે કહેવાય છે કે, નંદિના કાને વ્યક્ત કરેલી મનોકામના મહાદેવ પૂર્ણ કરતા હોય છે.
પવિત્ર શ્રાવણ માસ અને શિવ પંચાયત
રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસ અને શિવ પંચાયતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન કોઈ પણ શિવભક્ત પોતાની મનોકામના સિદ્ધિ થાય તે માટે કોઈ પણ શિવ મંદિરમાં સ્થાપિત શિવ પંચાયતના દર્શન કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. શિવપુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ શિવ પંચાયત કે જેમાં નંદી,કાચબો, સ્વયમ મહાદેવ, માતા પાર્વતી, ગણપતિજી અને હનુમાનને સાથે ભૈરવને શિવ પંચાયત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શ્રાવણ માસ દરમિયાન અને શિવ પંચાયતના દર્શન કરવાની સાથે પ્રત્યેક વખતે પોતાની મનોકામના નંદી મહારાજના કાનમાં વ્યક્ત કરવાથી મહાદેવ વ્યક્ત કરેલી પ્રત્યેક મનોકામના પૂર્ણ કરતા હોવાની ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે. જેથી પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવ સમીપે અને તેમની સાક્ષી એ વ્યક્ત કરવામાં આવેલી મનોકામના પૂર્ણ થતી હોવાની પણ શ્રદ્ધાળુઓમાં માન્યતા જોવા મળે છે. જેથી શ્રાવણ માસ દરમિયાન વિશેષ શ્રદ્ધા સાથે શિવ ભક્તો શિવાલયમાં દર્શન કરવા માટે આવતા હોય છે.

મહાદેવને અતિ પ્રિય છે ખીર
શ્રાવણ મહિનામાં દેવાધીદેવ મહાદેવને ખીરનો ભોગ પ્રસાદ લગાવવાથી પણ મહાદેવ અતિ પ્રસન્ન થતા હોય છે. કોઈપણ શિવભક્ત પોતાની આસ્થા અનુસાર મહાદેવની શ્રાવણ માસ દરમિયાન પ્રસાદ રૂપે ખીર અર્પણ કરવી જોઈએ, આવું પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ સિવાય મહાદેવને જળાભિષેકની સાથે બિલ્વપત્ર આંકડાની માળા પંચામૃત દૂધ સહિત અનેક નૈવૈધ થી માત્ર અભિષેક કરવાથી ભોળાનાથની કૃપા પ્રાપ્ત થતી હોય છે.

ભવનાથમાં વિશેષ આયોજન
પવિત્ર શ્રાવણ માસ શિવને સમર્પિત જોવા મળે છે, ત્યારે શ્રાવણ માસમાં આવતા વિવિધ તહેવારો જેવા કે નાગ પાંચમ, રક્ષાબંધન, શીતળા સાતમ, રાંધણ છઠ, ભગવાન શ્રીહરિનો જન્મોત્સવ, એટલે કે જન્માષ્ટમી જેવા સનાતન ધર્મના પર્વની સાથે રાષ્ટ્રીય પર્વ એટલે કે સ્વતંત્ર પર્વ પણ આવી રહ્યું છે. આ પર્વમાં લોકો પોતાની ધાર્મિક આસ્થા વ્યક્ત કરી શકે તે માટે વિશેષ આયોજન ભવનાથમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવ્યું છે.
ભવનાથ મહાદેવ મંદિરની સાથે તમામ ધાર્મિક સ્થાનો પર શિવ ભક્તોની સુવિધાને ધ્યાને રાખીને ફરાળ અને ભંડારાના આયોજનની સાથે શિવરાત્રી જન્માષ્ટમી અને શ્રાવણ માસની વિશેષ તીથીઓને ધ્યાને રાખીને મહાદેવની આરતી શૃંગાર અને વિશેષ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ભવનાથમાં આવેલા ધર્મ ક્ષેત્રોમાં કરવામાં આવી છે.

