સાબરકાંઠા: ગુજરાતભરમાં હાલના તબક્કે નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ છે ત્યારે હવે વિજયનગરના એક પરિવારે નકલી તેમજ ખોટા પ્રમાણપત્ર રજૂ કરી વર્ષ 2012 થી આજદિન સુધી સરકારી નોકરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિજયનગર મામલતદાર દ્વારા ચાર લોકો પૈકી ત્રણ લોકો વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથધરી છે.
નકલી જાતિનું પ્રમાણપત્ર મેળવી નોકરી લીધી
સાબરકાંઠાના વિજયનગરના વસાઈ ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોએ 2003, 2007 અને 2012થી અત્યાર સુધીમાં ખોટા પ્રમાણપત્રો બનાવી તેના આધારે સરકારી કર્મચારી તરીકે સરકારી નોકરી કરી રહ્યા છે. સામાન્ય રીતે આજની તારીખે કોઈપણ દાખલો મેળવવા માટે મોટાભાગના દરેક અરજદારો સવારથી જ લાંબી લાઈનો લગાવી સરકારી દાખલો મેળવી તેના આધારે વિવિધ પરીક્ષાઓ આપી તેના આધારે સરકારી નોકરી મેળવતા હોય છે. જોકે વિજયનગરમાં ઉલટી ગંગા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. એક જ પરિવારના ત્રણ લોકોએ 2012 થી અત્યાર સુધીમાં ત્રણ વાર સ્થાનિક તંત્રને અંધારામાં રાખી ખોટા પ્રમાણપત્રો બનાવ્યા હતા. જેમાં તાલુકા પંચાયત, મામલતદાર સહિત સાબરકાંઠા જિલ્લા સમાજ અધિકારી દ્વારા અપાતા પ્રમાણપત્ર પણ હવે ખોટું કર્યું છે. ત્યારે વિજયનગર મામલતદાર કચેરી દ્વારા ખોટા પ્રમાણપત્ર ના આધારે નોકરી મેળવી હોવાનું ખુલતા ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
12 વર્ષે સામે આવ્યું પરિવારનું કૌભાંડ
સામાન્ય રીતે નકલી તેમજ ખોટા દાખલા બનાવી તેના આધારે સરકારી કર્મચારી બનવાના મામલે સ્થાનિક કક્ષાએ તપાસની તજવીજ હાથ ધરાતા એક જ પરિવારના ત્રણ લોકો એ અનુસૂચિત જનજાતિના ન હોવા છતાં અનુસૂચિત જનજાતિ આધારિત નોકરી મેળવી છેલ્લા 12 વર્ષથી સરકારી નોકરી કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક મામલતદાર દ્વારા વિજયનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ, હિંમતસિંહ ગુલાબસિંહ તેમજ સુમિત્રાબેન ગુલાબસિંહ નામના ત્રણ સરકારી કર્મચારીઓએ આદિવાસી ન હોવા છતાં તેમના નામનો દાખલો બનાવી સ્થાનિક કક્ષાએ તાલુકા પંચાયત મામલતદાર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસેથી દાખલા મેળવી સરકારી નોકરી પ્રાપ્ત કરી છે. જોકે હવે તમામના આધારભૂત પ્રમાણપત્રો ખોટા સાબિત થતા તમામની સામે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
જોકે નકલી પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવવાનો આ કિસ્સો ગુજરાત ભરમાં તમામ કર્મચારીઓના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવે તો અન્ય કેટલાય સરકારી બાબુઓના પગ નીચેથી જમીન ખસી જાય તેમ છે. ત્યારે જોવું એ રહેશે કે આ મામલે આવનારા સમયમાં પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્ર દ્વારા કેટલા ભરાય છે.
આ પણ વાંચો: