નર્મદા : રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિદ્ધિ માતાજી મંદિરનો દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક થયો હતો. રાજપીપળા હરસિદ્ધિ મંદિરથી ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી હતી. મા હરસિદ્ધિ નગરચર્યાએ નીકળતા માતાજીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
હરસિદ્ધિ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ : રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિદ્ધિ માતાજી મંદિરનો દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ થયો હતો. આજે ખાસ રથમાં મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપ બનેલી માતાજી શણગારેલા રથમાં જોડાયા હતા. ઈ.સ 1657માં રાજવી વેરીશાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા, તે મૂળ સ્વરૂપનો ટેબલો દર્શન ખાસ કરીને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
માં હરસિદ્ધિ સાથે મહાદેવ અને વીર વૈતાલ : વાઘ પર સવારી કરનાર મા હરસિદ્ધિ સાથે પધારેલ મહાદેવ, વીર વૈતાલ અને હનુમાન સાથેના ટેબલાના દર્શન કરી ભક્તો અભિભૂત થયા હતા. ખાસ રથમાં મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતાની ઝાંકી આકર્ષણનું કેન્દ્ર બની હતી. મંદિરના ગર્ભગૃહમાં મૂકેલ માં હરસિધ્ધિની તસવીર પૂજારી અને આરતી સાથેના દર્શનની અનોખી ઝાંખી જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.

મા હરસિદ્ધિની ભવ્ય નગરયાત્રા : બાલિકાઓની કળશ યાત્રા અને મોટી સંખ્યામાં મહિલાઓ માતાજીના ગરબાની રમઝટ સાથે નીકળેલી નગર યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથમાં બિરાજમાન રાજવી પરિવાર સાથે નગરજનો પણ નગરયાત્રામાં જોડાયા હતા. પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે નગરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પ્રાગટ્ય દિવસે આખો દિવસ હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા અને અન્ન ફૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

300 કિલો રંગબેરંગી ફૂલોનો શણગાર : રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી અને લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે, તે મંદિરને 300 કિલો રંગબેરંગી ફૂલોથી શણગાર્યું હતું. ઉપરાંત ત્રણ રથ, બે બગીનું આકર્ષણ ઠેર ઠેર 13 જેટલા સ્થળોએ લાઇટિંગ, રોશની, આતશબાજી અને ડીજે ઇવેન્ટનું આકર્ષણ તથા વિવિધ સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત દર્શન માટે ભારે ભીડ જામી હતી.
423 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર : ઉલ્લેખનીય છે કે, હરસિદ્ધિ માતાનું મંદિર લાખો લોકોનું શ્રદ્ધા સ્થાનક છે. અહીં નવરાત્રીના નવ દિવસનો ભવ્ય મેળો ભરાય છે. ઉજ્જૈનથી સ્વયંભૂ રાજપીપળા પધારેલ હરસિદ્ધિ માનું મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઇ. સ 1657 માં બંધાવ્યું અને આજે 423 વર્ષ થયા હતા. આ મંદિરમાં માતાજી સ્વયં સ્થાપિત થયા હતા. સર્વ ભક્તોની મનોકામના, બાધા આખડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે.