રાજકોટ : શહેરના ભવાનીનગર વિસ્તારમાં ગઈકાલે ફૂડ પોઈઝનિંગનો બનાવ નોંધાયો છે. અહીં એક ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરાયું હતું, જે છાશ પીધા બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાની માહિતી મળી હતી. બાળકોને છાશ પીધા બાદ ઉલટી થવા લાગતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રામનાથ પરામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ : રાજકોટ શહેરના રામનાથ પરા પાસે આવેલ ભવાનીનગર વિસ્તારમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી. આ વિસ્તારના બાળકોએ છાશ પીધી હતી. જે બાદ લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. છાશ પીધા બાદ બાળકોની એકાએક તબિયત લથડવા લાગી હતી અને ઊલટી કરવા લાગ્યા હતા.
"આ સંસ્થા દ્વારા કાયમ આવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. પરંતુ ગઈકાલે જે બનાવ બન્યો તે બાદ સ્થળ પર તપાસ કરવામાં આવી છે. છાશના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગળની તપાસ કરવામાં આવશે. બાળકોની હાલ સ્થિર છે." -- ડો. જયેશ વાકાણી (આરોગ્ય અધિકારી, રાજકોટ મનપા)
25 જેટલા બાળકોની તબિયત લથડી : ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા 25 બાળકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. જેમાં ભવાનીનગર વિસ્તારના જ રહેવાસી 12થી 15 બાળકોને ગુંદાવાડી વિસ્તારમાં આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. 10 જેટલા બાળકોને ગુંદાવાડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યારે 15 જેટલા બાળકોને ઘરે જ સારવાર આપવામાં આવી હતી.
ખાનગી ટ્રસ્ટે કર્યું હતું છાશ વિતરણ : 25 પૈકી એક બાળક જયરાજસિંહ ઝાલાની તબિયત વધારે લથડતાં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, અન્ય બાળકોની તબિયત હાલમાં સ્થિર હોવાની માહિતી મળી છે. લોકો અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર બાળકોને છાશ પીવાથી ફૂડ પોઇઝનિંગ થયું હોવાની આશંકા છે. જોકે, હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી.